સંત કબીર એક વખત ભજન કરતાં કરતાં એક ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની આગળ કેટલીક સ્ત્રીઓ જતી હતી. તેમાંથી એક સ્ત્રીનો વિવાહ નક્કી થયો હશે, એટલે તેના સાસરીવાળાએ તેને શુકનમાં નથણી મોકલી હતી. તે મહિલા પોતાની સહેલીઓને વારંવાર નથણી વિશે જણાવી રહી હતી કે નથણી આવી છે- તેવી છે. આ ખાસ તેમણે મારા માટે મોકલી છે. વારંવાર માત્ર એ નથણીની જ વાત કરતી હતી. તેની પાછળ ચાલી રહેલા કબીરજીના કાનમાં તમામ વાતો પડી રહી હતી.
ઝડપથી ડગલાં ભરતાં કબીર તેમની પાસેથી નીકળ્યા અને કહ્યું, ‘નથની દીની યાર ને, તો ચિંતન બારંબાર. નાક દિની કરતાર ને, ઉનકો દિયા બિસાર.’ વિચારો કે જો નાક જ ન હોત તો નથણી ક્યાં પહેરત? આવું જ આપણે પણ આપણા જીવનમાં કરીએ છીએ. ભૌતિક વસ્તુઓનું તો આપણને જ્ઞાન રહે છે, પરંતુ જે પરમાત્માએ આ દુર્લભ મનુષ્ય દેહ આપ્યો છે એ આ દેહથી સંબંધિત તમામ વસ્તુઓ, તમામ સંબંધો આપ્યા, એ જ પરમાત્માને યાદ કરવા માટે આપણી પાસે સમય જ નથી હોતો. સર્વ ભોગાદિ પદાર્થ તો કૂતરાં-બલાડાં, કીડા-મંકોડા વગેરેના શરીરથી પણ પ્રાપ્ત થાય છે, પરંતુ ભગવાનની ભક્તિ માત્ર મનુષ્યના શરીરમાં જ પ્રાપ્ત થાય છે. તેથી હંમેશાં ભગવાનનું ભજન-સ્મરણ કરતા રહો.