Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

સંસ્કૃતિનો નિરાદર

28/05/2023 00:05 Send-Mail

કોંગ્રેસનું કહેવું છે કે સ્વતંત્રતા સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુને જે સેંગોલ એટલે કે રાજદંડ પ્રદાન કરવામાં આવ્યો હતો, તેને સત્તા હસ્તાંતરણ સાથે કોઈ સંબંધ નથી. કોંગ્રેસનો આ દાવો ચકિત કરનારો અને સાથે જ કેટલાય સવાલો પણ ઊભા કરે છે. જો કોંગ્રેસનો દાવો સાચો હોય તો પછી નેહરુએ તેનો સ્વીકાર કેમ કર્યો હતો? ગત દિવસોમાં સેંગોલ વિશે જાણકારી આપતાં ગૃહમંત્રી અમિત શાહે જે ફોટો દર્શાવ્યા, તે તો એ જ દર્શાવે છે કે તેને સમારોહપૂર્વક નેહરુને સોંપવામાં આવ્યો હતો. કોંગ્રેસ એ જણાવે કે આખરે આ સમારોહ કેમ થયો હતો અને તેનો શો અભિપ્રાય હતો? ધ્યાન રહે કે આ સમારોહ એ જ સમયે થયો જ્યારે ૧૫ ઓગસ્ટે અડધી રાત્રે સત્તા હસ્તાંતરણ થઈ રહ્યું હતું. કોંગ્રેસે એ પણ જણાવવું જોઇએ કે તમિલનાડુમાં નિર્મિત આ સેંગોલ જવાહરલાલ નેહરુ અને પછી તેમની પાસેથી અલ્હાબાદ સંગ્રહાલય કેવી રીતે પહોંચ્યો? સમજવું મુશ્કેલ છે કે કોંગ્રેસ નેતા સત્તા હસ્તાંતરણના એક મહત્ત્વપૂર્ણ પ્રસંગની અવગણના કેમ કરવા માંગે છે? ક્યાંક એટલા માટે તો નહીં કે નેહરુએ સેંગોલને એ સન્માન ન આપ્યું, જેનું તે હકદાર હતું? તે તેમની ખાનગી સંપત્તિ બની ગઈ અને પછી તેને અલ્હાબાદ સંગ્રહાલય મોકલી દેવાયું. ત્યાં તેને સોનાની લાકડી તરીકે પ્રદર્શિત કરાતું હતું.
એ પણ એક રહસ્ય જ છે કે સેંગોલને રાજદંડને બદલે ચાલવા માટેની લાકડી તરીકે કેમ પરિભાષિત કરવામાં આવ્યું? ક્યાંક તેનું કારણ એ તો નથી કે નેહરુ સેક્યુલરિઝમની જે અવધારણાથી પ્રેરિત હતા, તેમાં સત્તા હસ્તાંતરણની આ પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા તેમને ગમી ન હોય. વસ્તુસ્થિતિ ગમે તે હોય, પણ કોંગ્રેસ સેંગોલના ઇતિહાસનું જેવું વર્ણન કરી રહી છે, તેનાથી એવું લાગે છે કે તેને એ ગમતું નથી કે આ ઐતિહાસિક રાજદંડને અલ્હાબાદ મ્યુઝિયમમાંથી લાવીને સંસદના નવા ભવનમાં સ્પીકરના આસન પાસે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. સમસ્યા માત્ર એટલી નથી કે સેંગોલના ઇતિહાસને તોડવા-મરોડવામાં આવ્યો, પરંતુ એ પણ છે કે તેને જનતાથી છૂપાવવામાં પણ આવ્યું. કોઈ જાણતું નથી કે આવું કામ કેમ કરવામાં આવ્યું અને કોંગ્રેસ નવેસરથી તેમાં ભાગીદાર કેમ બની રહી છે? કોંગ્રેસ પોતાના વલણથી એ પ્રગટ કરી રહી છે કે તેને પોતાના સાંસ્કૃતિક વારસા પર જ ગર્વ નથી. સારું થાત કે તે સેંગોલ મામલે વિચિત્ર દલીલો કરવાને બદલે ચૂપ રહેતી, પરંતુ કદાચ તેને પોતાની વિરાસતની સાથે જ દેશની સંસ્કૃતિ અને પરંપરાઓની ઉપેક્ષા કરવાની આદત પડી ગઈ છે. તેની આ જ આદતોને કારણે એમ કહેવામાં આવે છે કે આજની કોંગ્રેસ એ નથી, જેણે દેશને આઝાદી અપાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવી હતી. એ સારું નથી થયું કે કોંગ્રેસે પહેલાં તો નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના બહિષ્કારનો નિર્ણય કર્યો અને પછી સેંગોલના ઇતિહાસની અલગ વ્યાખ્યા કરવા લાગી.