રાષ્ટ્ર કોઈ ભૌગોલિક ક્ષેત્રનું સીમાંકન માત્ર નથી, પરંતુ પ્રત્યેક નાગરિકના સંમિલિત અસ્તિત્વનો પર્યાય છે. રાષ્ટ્ર શબ્દમાં ભૂત, વર્તમાન, ભવિષ્ય કે તમામ કાળમાં કરવામાં આવેલ કર્તવ્ય, ત્યાગ, નિષ્ઠા અને દેશભક્તિનાં તમામ તત્ત્વો સમાયેલાં છે. વ્યક્તિઓના ક્ષુદ્ર સ્વાર્થોની પૂર્તિની ચાહે ગમે તેટલી સીમાઓ હોય, પરંતુ રાષ્ટ્રની વિરાટતામાં તે તમામ સીમાઓ અંતર્ભૂત થઈ જાય છે. તત્પશ્ચાત એક જ ભાવનો ઉદય થાય છે, રાષ્ટ્રીયતા. રાષ્ટ્રીયતા શ્રેષ્ઠ ધર્મ છે, કારણ કે આ ધર્મની આવશ્યકતા છે રાષ્ટ્ર ગૌરવની રક્ષા. આપણે ભારતીયો માટે પોતાનું રાષ્ટ્ર માતૃવત પૂજ્ય છે. એવું એટલા માટે કે માતાનું સ્થાન સંસારમાં સર્વોપરિ છે. આપણો ત્રિવર્ણી ધ્વજ સામૂહિક શક્તિનો પરિચય પ્રદાતા બનીને રાષ્ટ્રગૌરવનો માર્ગ પ્રશસ્ત કરે છે.
ધ્વજનો કેસરિયો વર્ણ વિચાર-સદ્જ્ઞાન, શોધ-અનુસંધાન અને શિક્ષા-પ્રસારનું પ્રતીક છે. આમ પણ માનસિક ફળદ્રુપતામાં જ રાષ્ટ્રનું ભવિષ્ય અંકુરિત થાય છે. ધ્વજનો શ્વેત વર્ણ શાંતિનું પોષણ કરનારી વ્યવસ્થાનું પ્રતીક છે. આ જ રીતે લીલો રંગ આપણા રાષ્ટ્રની સમૃદ્ઘિનો સૂચક છે. તેથી રાષ્ટ્રીય ગરિમા પ્રત્યે થનારી મનમાની અને સંધિઓનું દમ કરીને આ વર્ણને ગૌરવાન્વિત કરવો બધાનું કર્તવ્ય છે. ધ્વજની મધ્યમાં સ્થિત ચક્રનો નીલો રંગ રાષ્ટ્રની ક્રિયાશીલતા અને શ્રમશીલતાનું પ્રતીક છે જે આપણામાં જીવંતતા અને ઉત્સાહનો સંચાર કરે છે. આ જ જીવંતતા અને ક્રિયાશીલતા આફણા રાષ્ટ્રના ગૌરવની ધૂરી છે. રાષ્ટ્ર આરાધના સમસ્ત આરાધનાઓમાં સર્વોત્તમ છે અને આપણે સદૈવ તેના માટે ખુદને તૈયાર રાખવા જોઈએ. રાષ્ટ્રનું ગૌરવગાન સર્વોત્તમ ભજન, રાષ્ટ્રહિત સાધના સર્વશ્રેષ્ઠ તપ અને રાષ્ટ્ર માટે નિ:સ્વાર્થ સમર્પણ અને નિષ્ઠા જ પવિત્રતમ યજ્ઞ છે. રાષ્ટ્ર પ્રત્યે મન, વચન, કર્મથી સંવેદનશીલ રહેવું, સજાગ રહેવું, રાષ્ટ્રહિતાર્થે પોતાની અંગતતાનો ત્યાગ કરીને સર્વસ્વ બલિદાન કરવાની ભાવના જ રાષ્ટ્રની સુરક્ષા અને સ્વાભિમાનને અખંડ રાખી શકે છે. આ જ રાષ્ટ્રીયતાનું મૂળ તત્ત્વ છે. આ જ એ ભાવના છે કે જે તમામ દેશવાસીઓને પરસ્પર જોડી રાખવામાં સહાયક છે.