યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ઘની સ્થિતિ યથાવત
જર્મનીએ ટેન્ક આપતાં યુક્રેન પર રશિયાએ ૫૫ મિસાઈલ ઝિંકતાં ૧૧ના મોત
૫૫માંથી ૪૭ મિસાઈલો નષ્ટ કર્યાનો યુક્રેનની એરફોર્સનો દાવો
હાલમાં પણ યુક્રેન અને રશિયા વચ્ચે ભયાવહ યુદ્ધની સ્થિતિ યથાવત છે. દરમિયાન જર્મનીએ ૨૫ જાન્યુઆરીએ તેની લેપર્ડ-૨ ટેન્ક મદદરૃપે યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી રશિયા ભડકયુ હતુ. આ અહેવાલ આવતા જ રશિયાએ ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ યુક્રેનના શહેરો પર એકસાથે ૫૫ મિસાઈલો ઝિંકી દીધી હતી. આ હુમલામાં ૧૧ લોકો મૃત્યુ પામ્યા.
બીજી બાજુ યુક્રેનની એરફોર્સે દાવો કર્યો હતો કે અમે ૫૫માંથી ૪૭ મિસાઈલો તો નષ્ટ કરી દીધી હતી. જોકે યુક્રેન સ્ટેટ ઈમરજન્સી સર્વિસ દાવો કરે છે કે ૨૦ મિસાઈલોએ રાજધાની કીવને નિશાન બનાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે ખેરસોન, હ્રેવાખા સહિત ૧૧ વિસ્તારોને આ મિસાઈલો દ્વારા નિશાન બનાવાયા હતા. તેમાં ૩૫ જેટલી ઈમારતોને નુકસાન થયું હતું. જેમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા.
જ્યારે આજે કેનેડાએ જાહેરાત કરી હતી કે તે પણ યુક્રેનને ૪ લેપર્ડ-૪ ટેક્ન આપશે. આ મામલે સંરક્ષણમંત્રી અનિતા આનંદે માહિતી આપી હતી. યુક્રેનને આશા છે કે આ ટેક્ન રશિયા વિરુદ્ધની લડાઈમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. જોકે રશિયા દાવો કરે છે કે આ ટેન્ક પણ બાકીઓની જેમ નષ્ટ કરી નાખીશું.
અમેરિકાએ પણ અબરામ એમ૧ ટેન્ક યુક્રેનને આપવાનો વાયદો કર્યો હતો. તેની સાથે આવનારા દિવસોમાં યુક્રેની સૈનિકોની ટ્રેનિંગ શરૃ થવાની છે. આ મામલે સંરક્ષણમંત્રી બોરિસ પિસ્તોરિયસે કહ્યું કે યુક્રેની સૈનિકો પગપાળા સેના માટે જર્મન નિર્મિત વાહન માર્ડર્સ પર ટ્રેનિંગ શરૃ કરશે અને લેપર્ડ ૨ ટેક્ન પર ટ્રેનિંગ થોડા સમય પછી શરૃ કરાશે.