નાગપુર : ભારતનું એકમાત્ર ડાયમંડ રેલ ક્રોસિંગ, જયાં ચારે તરફથી ટ્રેનોની થાય છે અવરજવર
રેલવેના ટાઇમ મેનેજમેન્ટના કારણે એક જ ક્રોસિંગેથી ચારે તરફ ટ્રેનોની સલામત અવરજવર નિહાળવા ઉમટતા સહેલાણીઓ
ટ્રેનમાં મુસાફરી કરવાની મજા કાંઇક ઔર હોય છે. ટ્રેન આવવા સમયે રેલવે ક્રોસિંગ બંધ રાખવામાં આવે છે. જેથી રાહદારીઓ, વાહન વ્યવહાર અટકી જાય છે. જો કે મોટાભાગના રેલ ક્રોસિંગની ટ્રેનો એક દિશામાંથી બીજી દિશા તરફ જતી હોય છે. પરંતુ ભારતમાં નાગપુરમાં એકમાત્ર ડાયમંડ રેલ ક્રોસિંગ આવેલું છે. અહીં ચારે દિશાઓમાંથી ટ્રેનોની અવરજવર થતી રહે છે. મતલબ કે અહીં ચતુષ્કોણીય રેલ માર્ગ આવેલો છે. જે કદાચ ભારતમાં એકમાત્ર આ પ્રકારનો રેલ માર્ગ છે.
નાગપુર રેલ્વે લાઇન સ્થિત ડાયમંડ ક્રોસિંગ પર ચારે બાજુ રેલવે ટ્રેક આવેલા છે. અહીંથી હાવડા, રાઉકેલા, રાયપુર માટેની રેલ લાઇન પસાર થાય છે. જયારે એક ટ્રેક ઉત્તર તરફથી, દિલ્હી તરફથી આવે છે. જયારે દક્ષિણ તરફે પણ એક ટ્રેક જાય છે. જયારે પશ્ચિમ તરફનો ટ્રેક મુંબઇને જોડે છે.
જો કે આ ટ્રેકને પહેલીવાર જોનાર વ્યકિત આશ્ચર્યમાં મૂકાઇ જાય છે અને અહીંથી રેલ ગાડીઓ કેવી રીતે પસાર થતી હશે તેની મથામણમાં મૂકાય છે. જો કે ડાયમંડ ક્રોસિંગેથી પસાર થતી ટ્રેનો એકમેક સાથે ટકરાતી નથી. તેની પાછળનું મુખ્ય કારણ છે રેલવેનું ટાઇમ મેનેજમેન્ટ. મતલબ કે દિવસમાં અનેકો વખત ડાયમંડ ક્રોસિંગેથી દોડતી ટ્રેનો વચ્ચે સમયનું સંતુલન ગોઠવવામાં આવ્યું છે.
આથી આ ક્રોસિંગેથી એક ટ્રેન પસાર થયાની થોડીવાર બાદ બીજી ટ્રેન સરળતાથી પસાર થઇ જાય છે. જો કે દેશના અન્ય ક્રોસિંગોની સરખામણીએ આ પ્રકારનું એકમાત્ર ક્રોસિંગ જોવા માટે પણ સહેલાણી આ સ્થળે ખાસ જાય છે.