ખંભાતના ચાર વ્યાજખોરો સામે નોંધાયેલા ગુનાઓ
વ્યાજે નાણાં ધીરીને ૧૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલીને ચેક રીટર્નના કેસો કરી ધમકીઓ આપતા ફરિયાદ
-ભરતભાઈ પ્રજાપતિને એક લાખ ઉછીના આપીને મહેશભાઈ ઉર્ફે મામા રસીકભાઈ ભટ્ટ ૧૦ ટકા વ્યાજ વસુલતા હતા -અનિલભાઈ રાઠોડને ૫૦ હજાર ઉછીના આપીને યોગેશભાઈ ઉર્ફે લાલાભાઈ સોની ૩૦ ટકા જ્યારે કાનજીભાઈ વસાવાએ ૪૦ હજાર ઉછીના આપીને ૬૦ ટકા વ્યાજ વસુલતા હતા
ખંભાત શહેર પોલીસે વગર લાયસન્સે નાણાં ધીરધાર કરીને ૧૦ થી ૬૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલતા ચાર વ્યાજખોરો સામે ગઈકાલે રાત્રીના સુમારે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાતના ખારાકુવા પાસે રહેતા ભરતભાઈ રમણભાઈ પ્રજાપતિએ બે વર્ષ પહેલા પત્નીની મગજની બિમારીની સારવાર કરાવવા માટે મહેસભાઈ ઉર્ફે મામા રસીકભાઈ ભટ્ટ પાસેથી ૧ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેની દર મહિને દશ ટકા એટલે કે દશ હજાર વ્યાજ ચુકવવામાં આવતું હતુ. પૈસા ઉછીના આપતી વખતે મહેશભાઈ ઉર્ફે મામાએ લખાણ લખાવીને રકમ લખ્યા વગરના કોરા ચેક પર સહીઓ કરાવીને લઈ લીધા હતા. વ્યાજ પેટે ૭૦ હજાર રૂપિયા વસુલ કરવા છતાં પણ મુડી તથા વ્યાજના રૂપિયાની અવાર-નવાર માંગણી કરીને ધાકધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારબાદ કુલદીપભાઈ મોહનલાલ કનોજીયા મારફતે ભરતભાઈનો ચેક ખાતામાં ભરાવીને ચેક બાઉન્સ કરાવ્યો હતો અને કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પણ ગાળો બોલીને પૈસાની માંગણી કરી ધાકધમકીઓ આપતા ભરતભાઈએ ખંભાત શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે બન્ને વિરૂદ્ઘ ગુનો દાખલ કર્યો હતો.
બીજા બનાવમાં મેતપુર ખાતે રહેતા અને ડ્રાઈવીંગ કરીને જીવન ગુજરાન ચલાવતા અનિલકુમાર વાઘજીભાઈ રાઠોડે દુકાનનો સામાન લાવવા માટે યોગેશભાઈ ઉર્ફે લાલાભાઈ સોમાભાઈ સોની (રાલજ)પાસેથી ૫૦ હજાર રૂપિયા ઉછીના લીઘા હતા. જે પેટે દરરોજ ૫૦૦ રૂપિયા વ્યાજપેટે એટલે કે ૩૦ ટકા વ્યાજ વસુલવામાં આવતુ હતુ. પૈસા આપતી વખતે યોગેશભાઈ ઉર્ફે લાલાભાઈ સીક્યુરીટી પેટે કોરો ચેક રકમ લખ્યા વગરનો સહી કરાવીને લઈ લીધો હતો. અનિલકુમારે ૫૦ હજારની સામે ૯૦ હજાર ચુકવ્યા છતાં પણ અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરીને ધાકધમકીઓ આપવામાં આવતી હતી. અનિલકુમારને વધુ નાણાં ભીડ પડતા તેમણે મેતપુરના કાનજીભાઈ કાળીદાસભાઈ વસાવા પાસેથી દૈનિક ૮૦૦ રૂપિયા એટલે કે ૬૦ ટકા વ્યાજવાળા ૪૦ હજાર રૂપિયા ઉછીના લીઘા હતા. અનિલકુમારે ૪૦ હજારની સામે વ્યાજ સહિત કુલ ૨.૯૦ લાખ રૂપિયા કાનજીભાઈને ચુકવી દીધા હોવા છતાં પણ અવાર-નવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. બન્નેએ સીક્યુરીટી પેટે આપેલા ચેકો ખાતામાં ભરાવીને બાઉન્સ કરાવી ચેક રીર્ટનના કેસો પણ કર્યા હતા. આ અંગે અનિલકુમારની ફરિયાદને આધારે પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.