આંકલાવની કિશોરીને ભગાડીને લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર યુવકને આજીવન કેદ
અંબાલી રોડ ઉપર આવેલા બગદાદનગરમાં કિશોરીને ગોંધી રાખીને અશરફખાન રાજે અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ : સરકારી વકીલ જે. એસ. ગઢવીની દલિલો તેમજ રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સજાનો હુકમ કરતા સ્પેશ્યલ પોક્સો જજ જી. એચ. દેસાઈ
ભોગ બનનાર કિશોરીને પાંચ લાખ વળતર પેટે ચૂકવવા પણ નિર્દેશ
આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે આંકલાવની કિશોરીને ભગાડીને લઈ ગયા બાદ તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે સાથે ભોગ બનનાર કિશોરીને પાંચ લાખ વળતર પેટે ચુકવવા પણ હુકમ કર્યો હતો. આ માટે ચુકાદાની એક નકલ ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી, આણંદને મોકલી આપવા જણાવ્યું હતુ.
કઈ-કઈ કલમમાં કેટલી સજા કરાઈ
-ઈપીકો કલમ ૩૬૩માં ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા
-૩૬૬માં સાત વર્ષની સખ્ત કેદની સજા અને સાત હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા
-પોક્સો-૨૦૧૨ની કલમ ૪માં આજીવન કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા
-પોક્સો-૨૦૧૨ની કલમ ૬માં આજીવન કેદની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજા
પોક્સો-૨૦૧૨ની કલમ ૮ મુજબ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા
પોક્સો એકટની કલમ ૪,૬ મુજબ સજા અને દંડ કરવામાં આવ્યો હોય, ઈપીકો કલમ ૩૭૬મા અલગથી સજા અને દંડ કરવામાં આવ્યો નહોતો.
આંકલાવની એક કિશોરીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરીને તેણીને પોતાના ઘરે લઈ જઈને અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર યુવકને આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવના અંબાલી રોડ ઉપર આવેલા બગદાદનગર ખાતે રહેતો અશરફખાન ઉર્ફે કારીયો અભેસીંગ રાજે (ઉ. વ. ૨૧)મદ્રેસા પાસે રહેતી એક કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને પ્રતાપસંગની દુકાન પાસે આવેલી ખુલ્લી ઓરડીમાં તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ ત્યારબાદ ગત ૮-૮-૨૧ના રોજ રાત્રીના અઢી વાગ્યાના સુમારે ઘરેથી બહાર બોલાવીને ૧૩ વર્ષ ૧૦ માસની ઉંમર ધરાવતી કિશોરીને બાઈક પર બેસાડીને નાપાડ મુકામે રહેતા ફોઈના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેણીને રાખી હતી. તેણીને જો અહીંયાથી ક્યાંય જશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
દરમ્યાન ઉક્ત ઘટનાની જાણ થતાં જ કિશોરીની માતા ઠપકો આપવા જતા આ અંગે કોઈ વચ્ચે આવશો તો, કોઈને પણ જીવતા નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અશરફખાન કિશોરીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણીની ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને ગત ૨-૯-૨૧ના રોજ અશરફખાન ઉર્ફે કારીયાની ધરપકડ કરી હતી અને તપાસ પુર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. આ કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સરકારી વકીલ જે. એસ. ગઢવીએ દલિલો કરતાં જણાવ્યું હતુ કે, પોતાનાથી ઉંમરમાં ૭ વર્ષ નાની કિશોરીને ભગાડીને લઈ ગયા બાદ તેણી
ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.
જે ભોગ બનનારની જુબાની, મેડિકલ પુરાવાઓ તેમજ સાક્ષીઓની જુબાની પરથી ફલિત થાય છે. સમાજમાં આ પ્રકારના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે આરોપીને કાયદામાં પ્રસ્થાપિત મહત્તમમાં મહત્તમ સજા કરવી જોઈએ, જેથી સમાજમાં તેની નોંધ લેવાય અને અન્ય આરોપીઓ આવા ગુનાઓ કરતા અટકે. તેઓએ પોતાના કેસના સમર્થનમાં ૧૫ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૧૭ દસ્તાવેજી zપુરાવાઓ રજુ કર્યા હતા.
જજ જી. એચ. દેસાઈએ સરકારી વકીલની દલિલોને ગ્રાહ્ય રાખીને આરોપી અશરફખાન ઉર્ફે કારીયાને તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને ૩૭ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ આઠ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.