અમદાવાદના નરોડાના વેપારીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરનાર આણંદના પાંચ શખ્સોની ધરપકડ
ગાડીઓના લે-વેચના તેમજ ઉછીના આપેલા અંદાજે ૩૫ થી ૪૦ લાખની રકમ અપહ્યુત મનસુખભાઈ ના આપતાં પાંચ ઈસમો તેમને ગાડીમાં બેસાડીને આણંદ લઈ આવ્યા હતા અને રેતી કપચીના પ્લોટમાં ગોંધી રાખ્યા હતા
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા અને ઈલેકટ્રીક તેમજ ફર્નિચરના કામકાજની ફેક્ટરી ધરાવતા એક વેપારીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કરીને ગોંધી રાખીને માર મારનાર આણંદના પાંચ શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મનસુખભાઈ લાલજીભાઈ સિધ્ધપુરા અગાઉ આણંદ ખાતે રહેતા હતા. એ દરમ્યાન તેઓએ ગાડીઓની લે-વેચ તેમજ હાથ ઉછીના કરીને અંદાજે ૩૫ થી ૪૦ લાખ રૂપિયા આશીફ યુસુફભાઈ વ્હોરા, મુનાફ મુસ્તાકભાઈ વ્હોરા (રે. બન્ને ઈસ્માઈલનગર, આણંદ), અરશદભાઈ સત્તારભાઈ વ્હોરા, સલમાન ઈલ્યાસભાઈ વ્હોરા (અમન ટાઉનશીપ, આણંદ)અને સોહિલ ઈનાયતભાઈ વ્હોરા (રે. નુતનનગર, આણંદ)લીધા હતા. જની વારંવાર ઉઘરાણી કરવા છતાં મનસુખભાઈ આપતા નહોતા અને અમદાવાદના નરોડા ખાતે રહેવા માટે જતા રહ્યા હતા.
જ્યાં જીઆઈડીસીમાં કારખાનુ શરૂ કરીને વેપાર શરૂ કર્યો હતો. દરમ્યાન ગત ૨૧મી તારીખના રોજ પાંચેય શખ્સો કાર લઈને નરોડા જીઆઈડીસી ખાતે આવેલા મનસુખભાઈના કારખાને પહોંચી ગયા હતા અને ત્યાંથી કારમાં બેસાડીને આણંદ લઈ આવ્યા હતા. જ્યાં આશીફ વ્હોરાના રેતી-કપચીના ખુલ્લા પ્લોટમાં આવેલી ઓફિસમાં ગોંધી રાખ્યા હતા અને માર મારીને પૈસાની માંગણી કરી હતી.
આ તરફ મોડીરાત સુધી મનસુખભાઈ ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને તુરંત જ બજરંગ દળના કાર્યકરોનો સંપર્ક કર્યો હતો.દરમ્યાન ઉક્ત પાંચ શખ્સો પૈકી કેટલાકે મનસુખભાઈની પત્નીને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. જેથી તેમના પુત્ર નિકુંજભાઈએ મોડીરાત્રે નરોડા પોલીસ મથકે ફરિયાદ આપતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી.
આ તરફ અપહરણકારોને પોલીસ ફરિયાદ થઈ હોવાની જાણ થતાં જ મનસુખભાઈને કારમાં બેસાડીને પરત તેમના ઘરે મૂકવા જતા હતા. દરમ્યાન તેમના ઘર પાસે જ ગોઠવાઈ ગયેલી પોલીસે પાંચેય શખ્સોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.