Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની હૂમલાનું કાવતરું નિષ્ફળ
-ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને અપશબ્દો કહયા -પ્રદર્શનકારીઓ ભારતીય દૂતાવાસ પર હૂમલા અને તોડફોડની તૈયારી સાથે ત્યાં પહોંચ્યા હતા -અમેરિકા પોલીસ અને ગુપ્તચર વિભાગની તત્પરતાને કારણે મોટી ઘટના ટળી
27/03/2023 00:03 AM Send-Mail
અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાની હૂમલાનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે ભારતીય દૂતાવાસમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો અને અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને અપશબ્દો કહયા હતા. જો કે, અમેરિકા પોલીસ અને ગુપ્તચર વિભાગની તત્પરતાને કારણે મોટી ઘટના ટળી હતી.

શનિવારે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની બહાર અલગતાવાદી શીખોનું એક જૂથ એકત્ર થયું હતું. આ દરમિયાન ઘણા અલગતાવાદી નેતાઓએ સમૂહને સંબોધન કર્યુ હતું અને ભારત વિરૂદ્ઘ ઝેર ઓકયું હતું. આ દરમિયાન ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુને અપશબ્દો કહ્યા હતા. જો કે ઘટના સમયે ભારતીય રાજદૂત દૂતાવાસમાં હાજર ન હતા. આ દરમિયાન કટ્ટરપંથી લોકો ભીડને દૂતાવાસ પર હૂમલો કરવા માટે ઉશ્કેરતા જોવા મળ્યા હતા.

આ ઘટનાને કવર કરી રહેલા પત્રકારોનું કહેવું છે કે ખાલિસ્તાની વિરોધીઓ તેમના સાથી લાકડીઓ અને ડંડા પણ લઇને આવ્યા હતા અને તેમને વિરોધીઓએ નજીકના પાર્કમાં રાખ્યા હતા સ્પષ્ટ છે કે પ્રદર્શનકારીઓ ભારતીય દૂતાવાસ પરહૂમલા અને તોડફોડની તૈયારી સાથે ત્યાં પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓ સાન ફ્રાન્સિસ્કો અને લંડન જેવા ભારતીય દૂતાવાસ પર હૂમલો કરવાનો અને ત્રિરંગાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસની સજ્જતાને કારણે ખાલિસ્તાનીઓ તેમના પ્લાનમાં સફળ થયા ન હતા. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને ખાલિસ્તાનીઓની યોજનાની જાણકારી મળી હતી. જે બાદ તરત જ ગુપ્તચર વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોના જવાનો ભારતીય દૂતાવાસ પહોંચ્યા અને દૂતાવાસને સુરક્ષા ઘેરામાં લઇ લીધો હતો. આ દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ દૂતાવાસની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેમને ચેતવણી આપી અને તેમને ત્યાંથી જવા માટે કહ્યું. ખાલિસ્તાનીઓ જે રીતે ટોળાને ઉશ્કેરતા હતા, પરિસ્થિતિ કાબૂ બહાર જઇ શકી હોત. પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી.