ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન
કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાનનું વળતર આપવા ખંભાતના ધારાસભ્યની મુખ્યમંત્રી,કૃષિ મંત્રીને રજૂઆત
ખેતીવાડી શાખાના કર્મચારીઓએ તાલીમમાં હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું
આણંદ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ કોઈનો ફોન રીસીવ કરતા ન હોવાથી ફરિયાદનો સૂર ખેડૂતોમાંથી સાંભળવા મળી રહ્યો છે. જ્યારે કચેરીના અન્ય કર્મચારીઓએ તાલીમમાં હોવાનું કહી જવાબ આપવાનું ટાળતા કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન સહાયની સરકારની યોજનાથી ખેડૂતો અજાણ રહ્યા હતા.
ચરોતરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને તાજેતરમાં પડેલ કમોસમી વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું છે.હાલ પંથકમાં ઘઉં અને તમાકુનો પાક ખેતરોમાં તૈયાર થઈ ગયો છે.
ઘઉં તૈયાર થઈને કાપવાની સ્થિતિમાં આવી ગયા છે. કેટલાક ખેડૂતોએ કાપણી પણ કરી છે અને તૈયાર થઈ ગયેલ ઊભા પાક ઉપર માવઠાંના કારણે દાણો ભીંજાઈ જવાના કારણે ઘઉંની કિંમત નહીં ઉપજવાની ભીંતિ ખેડૂતોને સતાવી રહી છે.
બીજી તરફ ચરોતરમાં ઠેર ઠેર દેશી અને કલકત્તી તમાકુનો પાક હાલમાં તૈયાર થઈ ગયો છે. ઉભા તમાકુના પાક ઉપર વરસાદ પડવાથી તમાકુના પાનમાં કાણાં પડી જવાની અને કસ ધોવાઈ જવાથી ભાવમાં માર પડવાની ખેડૂતો ચિંતા વ્યકત કરી રહ્યા છે.
ઉપરાંત ઠેર ઠેર તમાકુનો પાક કાપીને સૂકવવા માટે ખેતરોમાં રાખવામાં આવે છે ત્યારે તાજેતરમાં રાત્રિના સુમારે ભારે પવન સાથે હળવાથી ભારે કમોસમી વરસાદ પડતા તમાકુના પાન ઉપર માટી ચોંટી જવાથી ભાવમાં માર પડવાની ખેડૂતોની ચિંતા સતાવી રહી છે.
તદ્ઉપરાંત ચણા અને જીરૂના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાવજીભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, ખંભાત પંથકમાં વરસાદ વરસતા ઘઉં, તમાકુ, ચણા, જીરું સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાકોના નુકસાનનું વળતર મળે તે માટે સત્વરે સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવે.