ઉંદેલમાં ત્રાટકેલા તસ્કરો : બે મકાન અને બે ઓફિસોના તાળા તોડી ૧.૨૫ લાખની મત્તા ચોરી ફરાર
એક મકાન અને બે ઓફિસોમાંથી કાંઈ ના મળ્યું : શિક્ષક દંપત્તિના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરીને છૂ
ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ બે મકાન અને બે ઓફિસોના તાળા તોડીને અંેક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળીને કુલ ૧.૨૫ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી પ્રવિણભાઈ મનુભાઈ પારેખ પાદરા તાલુકાના મુવાલ ગામની જ્ઞાનસરીતા સ્કૂલમાં તેમજ તેમના પત્ની હેતલબેન પાદરા તાલુકાના સાદરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ મુવાલ ગામે જ ભાડાના મકાનમાં રહે છે. જ્યારે ઉંદેલ ગામે પ્રમુખપાર્ક સોસાયટીમાં પણ પોતાનું મકાન આવેલું છે. ગત તારીખ ૨-૫-૨૩ના રોજ શાળામાં ઉનાળુ વેકેશન પડતાં જ તેઓ પરિવાર સાથે ઉંદેલ સ્થિત મકાને રહેવા માટે આવ્યા હતા. દરમ્યાન તેમને આંખોમાં તકલીફ થતાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતુ.
ગઈકાલે તેઓ પોતાના મકાનને તાળુ મારીને સામે રહેતા ભાઈના ઘરે સુવા માટે ગયા હતા. દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મુખ્ય દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી બેડરૂમમાં મુકેલી તિજોરી તોડી નાંખીને અંદરથી રોકડા ૨૧૫૦૦, સોનાની લક્કી, બે ચુડીઓ, બુટ્ટી, કડી, વીંટી, ત્રણ નથણી, ૨૦ ગ્રામ બે ચાંદીના સીક્કા, ૨૦ ગ્રામ બે ચાંદીની મુર્તિઓ તેમજ ૪૦ ગ્રામ ચાંદીના દાગીના વગેરે મળીને કુલ ૧,૨૫,૫૦૦ રૂા.નો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેમને પોતાના ઘરમાં ચોરી થયાનું માલુમ પડ્યું હતુ.
તપાસ કરતા નજીકમાં જ રહેતા નવીનભાઈ રતિલાલભાઈ પટેલના બંધ મકાનનું પણ તાળુ તુટ્યું હતુ અને બધો સામાન zવેરવિખેર કરી નાંખવામાં આવ્યો હતો જો કે ત્યાંથી કશુંય ચોરાવા પામ્યુ નહોતુ. આ સિવાય નીત્યાનંદ આશ્રમની સામે આવેલી વિજયભાઈ દશરથભાઈ પટેલ અને નિરંજનભાઈ નારાયણભાઈ પટેલની ઓફિસના પણ તાળા તોડીને તેમાં પણ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે આ બન્ને ઓફિસોમાંથી પણ કશુંય નહીં ચોરાયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ ખંભાત રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને પ્રવિણભાઈની ફરિયાદને આધારે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. ]