આણંદ, વિદ્યાનગરમાં આંબેડકર યુનિ.નું ૧-૧ સ્ટડી સેન્ટર કાર્યરત
સ.પ.યુનિ.માંથી યોગ્યતા ન હોવાના મુદ્દે દૂર કરાયેલા કુલકર્ણીને આંબેડકર યુનિ.ના બોર્ડમાં સભ્યપદે નિયુકિતનો વિવાદ
ડો.આંબેડકર ઓપન યુનિ.માં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિયુકત કરાયેલ ૬ સભ્યોમાં પ્રથમ સભ્ય તરીકે શિરીષ કુલકર્ણીનું નામ
સ.પ.યુનિ.માં ૬ર વર્ષની વય મર્યાદાના નિયમના આધારે ઉમેદવારી ફોર્મ રદ કરનાર શિરીષ કુલકર્ણીની વધુ વય હોવા છતાંયે સભ્યપદે નિયુકિત !
સ.પ.યુનિ.ના સૂત્રોનુસાર ભૂતકાળમાં સ.પ.યુનિ.માં કુલપતિ તરીકે શિરીષ કુલકર્ણી કાર્યરત હતા ત્યારે સેનેટ-સિન્ડીકેટની ચૂંટણીમાં એક ઉમેદવારનું ફોર્મ ૬ર વર્ષની વયમર્યાદા થઇ ગઇ હોવાના મુદ્દે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. મતલબ કે જે કુલપતિએ સરકારના ૬ર વર્ષની વયમર્યાદા પછી નિયુકિત ન થઇ શકે તે નિયમનો આધાર લઇને ઉમેદવારી ફોર્મ રદ કર્યુ હતું તેઓ પોતે ૬ર વર્ષ કરતાં વધુ વય ધરાવતાં હોવા છતાં ડો.આંબેડકર યુનિ.માં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિયુકત કરાયા છે.
ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં તાજેતરમાં ૬ સભ્યોની નિયુકિતની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ સભ્ય તરીકે વિદ્યાનગરની સ.પ.યુનિ.ના પૂર્વ કુલપતિ શિરીષ કુલકર્ણીનું નામ જાહેર કરાયું છે.
જયારે અન્ય સભ્યોમાં જગદીશ ભાવસાર,વસંત પટેલ, હરેશ ચૌધરી, કમલેશ રાવલ અને આનંદ પટેલની નિયુકિત કરવામાં આવી છે. જો કે સભ્યોની નિયુકિતને લઇને શરૂ થયેલો માંહોમાંહનો ગણગણાટ વિવાદ સર્જશેનું અંદરખાને ચર્ચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડો.આંબેડકર યુનિ.નું એક સ્ટડી સેન્ટર આણંદમાં તથા બીજું વલ્લભ વિદ્યાનગર સ્થિત કોલેજમાં કાર્યરત છે. આંબેડકર યુનિ.ની મેનેજમેન્ટ કમિટીમાં સભ્યપદે નિયુકત કરાયેલ શિરીષ કુલકર્ણી સ.પ.યુનિ.ના કુલપતિ તરીકે કાર્યરત હતા ત્યારે તેઓ હોદ્દાને અનુરુપ લાયકાત ધરાવતા ન હોવાના મુદ્દે સુપ્રિમ કોર્ટમાં રીટ થઇ હતી. જેમાં ગત ૪ માર્ચ,ર૦રરના રોજ સુપ્રીમ કોર્ટના આદેશના પગલે તત્કાલીન કુલપતિ શિરીષ કુલકર્ણીએ સ્થાન છોડવું પડયું હતું.
શિક્ષણવિદ્દોના મતાનુસાર નિયમ પ્રમાણે ૬ર વર્ષની વયમર્યાદા પૂર્ણ કર્યા બાદ કોઇપણ સરકારી સંસ્થામાં નિયુકિત આપવામાં આવતી નથી. છતાંયે શિરીષ કુલકર્ણી ૬ર વર્ષ કરતાં વધુ વયમર્યાદા ધરાવતા હોવા છતાં ડો.આંબેડકર યુનિ.માં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિયુકત કરાયા છે. છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા કારણોસર વિવાદમાં રહેલ ડો.આંબેડકર યુનિ.માં હવે મેનેજમેન્ટના સભ્યોની નિયુકિતના મામલે વિવાદ ઉભો થવાની સંભાવના અંતર્ગત સૂત્રો વ્યકત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડો.આંબેડકર યુનિ.માં સિન્ડીકેટ નથી. અહીં સરકાર પોતાના સભ્યોની મેનેજમેન્ટ કમિટીમાં નિયુકિત કરે છે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.