અડાસના વિરલ છાપરીયાએ નારેશ્વર રોડ પર સાસુને માથામાં લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાર્યા
સાસુની હત્યા પર પડદો પાડવા વડોદરા પોલીસ મથકમાં સાસુ ગૂમ થયાની પણ હત્યારા જમાઇએ અરજી આપી હતી: પોલીસની પૂછપરછમાં સાસુ પૈસા બાબતે અપમાનિત કરતી હોવાથી હત્યા કર્યાની ચોંકાવનારી કબૂલાત
આણંદ તાલુકાના અડાસનો વતની અને હાલોલ તાલુકાના વાવ ગામની કંપનીમાં નોકરી કરતા વ્યકિતએ પોતાની સાસુને નર્મદા નદીમાં સ્નાન અર્થ લઇ જવા દરમ્યાન નારેશ્વર રોડ પર સાસુ સાથે ઝઘડો થયો હતો અને તેણીના માથામાં લોખંડનો સળિયો ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ સાસુ ગૂમ થયાની વડોદરાના પાણીગેટ પોલીસ મથકે અરજી પણ આપી હતી. જો કે પોલીસે અજાણી મહિલાનું અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરીને કેસ ફાઇલ કરી દીધો હતો. પરંતુ ઝડપાયેલા હત્યારાએ પોલીસની પૂછપરછમાં સાસુ પૈસા બાબતે અપમાનિત કરતા હોવાથી હત્યા કર્યાની કબૂલાત કરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતોમાં વડોદરામાં વાઘોડીયા ચોકડી પાસે શ્રીજી દ્વાર ફલેટમાં એકલા રહેતા ઇન્દુબેન રમણભાઇ ચૌહાણે (ઉ.વ.૬૫) નર્મદા નદીમાં સ્નાન કરવાની માનતા રાખી હતી. જેથી અડાસનો વતની અને વાવની કંપનીમાં નોકરી કરતો ઇન્દુબેનનો જમાઇ વિરલ ઉર્ફે લાલો અરવિંદભાઇ છાપરીયા ગત તા. ૧૪ એપ્રિલ,ર૦ર૩ના રોજ રાત્રે ૩-૩૦ કલાકે પોતાના મોપેડ પર સાસુ ઇન્દુબેનને બેસાડીને કરજણ તાલુકાના નારેશ્વર નર્મદા નદીમાં સ્નાન માટે લઇને નીકળ્યો હતો.
દરમ્યાન નારેશ્વર રોડ ઉપર સાસુએ પૈસા બાબતે ઝઘડો કરી અપમાનિત કરતા રોષે ભરાયેલા જમાઇએ માથામાં લોખંડનો સળિયો ફટકારતા ઇન્દુબેનનું મૃત્યુ થયું હતું. જયારે જમાઇ પોતાના ઘરે જતો રહ્યો હતો. જો કે સાસુ ગૂમ થયાની તેણે આપેલ અરજીના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી. જેમાં અવારનવાર જમાઇ વિરલ છાપરીયા સાસુના ઘરે વડોદરા આવતો હોવાનું અને પૈસા માંગતો હોવાનું તથા ઇન્દુબેન જમાઇને કહેતા હતા કે, મારી છોકરીને તો તું સારી રીતે રાખતો નથી અને પૈસા લઇ ગયા પછી પરત પણ કરતા નથી તેવા મ્હેણાં મારતા હોવાથી જમાઇને સાસુ પ્રત્યે નફરત થયાનું પોલીસને જાણવા મળ્યું હતું. આથી વિરલની કંપનીના રહેણાંક સ્થળેથી ધરપકડ કરીને કડકાઇથી પૂછપરછ કરતા તેણે સાસુ ઇન્દુબેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આથી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.