અલ્લાહ કરમ કરના, લિલ્લાહ કરમ કરના, પરવર દિગાર-એ-આલમ, બેકસ પે રહમ કરના
'સૌતન'ના હિરો રાજેશ ખન્ના પાસે તે દિવસોમાં ખાસ કામ નહોતું. એટલે સાવનકુમારે મમરો મૂક્યો અને ખન્ના સાહેબે કહ્યું 'મારી ડાયરી ખાલી છે. જે જોઇએ એ દિવસો લઈ લો'! રાજેશ ખન્ના સામે પરવીન બાબીને સાઇન કરી. પણ શૂટીંગ શરૃ થવાની છેલ્લી ઘડીએ પરવીન અલોપ થઈ ગઈ. ત્યારે ટીના મુનીમની એન્ટ્રિ થઈ અને ત્યાંથી જ સનસનાટીનો આરંભ થયો. સાવનકુમારે આઉટડોર શૂટ માટે પરદેશ જવાનું નક્કી કર્યું. સાવનજી તે અગાઉ પોતાની ફિલ્મ 'સાજન કી સહેલી' માટે મોરેશ્યસનાં રમણીય દ્દશ્યોને હિન્દી પડદે લાવનાર એ પ્રથમ પ્રોડયુસર બન્યા હતા...
(ગતાંકથી આગળ)
સાવનકુમાર અને ઉષા ખન્નાનો સંબંધ પણ 'હવસ'ના ગાયન 'તેરી ગલિયોં મેં ના રખ્ખેંગે કદમ...'થી જ જોડાયો. કેમ કે મજરૃહ સુલતાનપુરીએ પોતે લખશે એ ગીતની કિંમત કરતાં એક રૃપિયો પણ ઓછો કરવાનો ઇનકાર કરી દીધા પછી સાવનકુમારે પોતે લખેલું ''તેરી ગલિયોં મેં...' ઉષાજીને ધુન બનાવવા આપ્યું; પણ એક ફેરફાર સાથે. તેમણે કહ્યું કે આ મજરૃહ સા'બે લખી આપ્યું છે! 'વાહ, ક્યા અલ્ફાઝ હૈ' તારીફના એવા કોઇ શબ્દો સાથે સંગીતકારે તર્જ બનાવી. રેકોર્ડીંગ પછી જ્યારે સાવનજીએ ખુલાસો કર્યો ત્યારે એ સોહામણા પ્રોડયુસર-ડાયરેક્ટરની સ્માર્ટનેસ પ્રત્યે લગભગ હમઉમ્ર એવાં ઉષાજીનું માન વધી ગયું. ઉષા ખન્નાને શાયરી પ્રત્યેનો લગાવ પિતા તરફથી મળ્યો હતો. તેમના પપ્પા મનોહર ખન્નાએ 'જાવેદ અનવર'ના નામે કેવાં કેવાં ગીત આપ્યાં હતાં એ 'કેબીસી'માં પૂછવાલાયક માહિતી છે.
કેમ કે ઉષાજીએ તેમના પપ્પાનાં લખેલાં કમ્પોઝ કરેલાં ગીતોમાં રફી સાહેબનાં અમર ગીતો 'મૈંને રખ્ખા હૈ મોહબ્બત, અપને અફસાને કા નામ...' (ફિલ્મ 'શબનમ') અને 'હાયે તબસ્સુમ તેરા...' (નિશાન) તેમ જ મન્નાડેના કંઠે મળેલું 'અપને લિયે જીયે તો ક્યા જીયે, તુ જી અય દિલ જમાને કે લિયે' (બાદલ) છે. શાયર પિતાની દીકરીને કવિતા પણ કરી શકતા જીવનસાથી તો મળ્યા. પણ ત્રણેક વરસના લગ્નજીવન બાદ બન્ને અલગ થઈ ગયાં. છતાં દોસ્તી એવી જ રહી અને સાવનકુમાર તેમ જ ઉષા ખન્નાની એ ખાનદાની કે છુટા પડયા પછી બેમાંથી કોઇએ કદી તેના કારણની કે એકબીજાની ખામીઓની ક્યાંય ચર્ચા કરી જ નહીં. બલ્કે સાવનકુમારે પોતાની ફિલ્મોમાં સંગીત ઉષાજીને સોંપવાનું ચાલુ રાખ્યું જેના પરિણામે 'સૌતન' જેવી સુપરહિટ ફિલ્મ મળી. તેમાં સાવનકુમારે લખેલું 'શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ, ઇસી લિયે મમ્મીને મેરી તુમ્હેં ચાય પે બુલાયા હૈ...' આજે પણ મજેથી સાંભળી શકાય છે. પણ 'સૌતન'ને પણ સાવનકુમાર ક્યાં સહેલાઇથી લાવી શક્યા હતા?
'સૌતન'ના હિરો રાજેશ ખન્ના પાસે તે દિવસોમાં ખાસ કામ નહોતું. એટલે સાવનકુમારે મમરો મૂક્યો અને ખન્ના સાહેબે કહ્યું 'મારી ડાયરી ખાલી છે. જે જોઇએ એ દિવસો લઈ લો'! રાજેશ ખન્ના સામે પરવીન બાબીને સાઇન કરી. પણ શૂટીંગ શરૃ થવાની છેલ્લી ઘડીએ પરવીન અલોપ થઈ ગઈ. ત્યારે ટીના મુનીમની એન્ટ્રિ થઈ અને ત્યાંથી જ સનસનાટીનો આરંભ થયો. સાવનકુમારે આઉટડોર શૂટ માટે પરદેશ જવાનું નક્કી કર્યું. સાવનજી તે અગાઉ પોતાની ફિલ્મ 'સાજન કી સહેલી' માટે મોરેશ્યસનાં રમણીય દ્દશ્યોને હિન્દી પડદે લાવનાર એ પ્રથમ પ્રોડયુસર બન્યા હતા. એ જ ખુબસૂરત લોકેશનમાં યુનિટ પહોંચ્યું. ત્યાં રાજેશ ખન્ના અને ટીના મુનીમની નિકટતા એવી વધી કે બન્ને સાથે રહેવા લાગ્યાં. એટલું જ નહીં, તે દિવસોના એક ફેમસ ઇન્ટરવ્યૂમાં રાજેશ ખન્નાએ કહ્યું હતું કે એ બન્ને એકબીજામાં એટલાં ઓતપ્રોત છે કે એક જ ટુથબ્રશનો ઉપયોગ કરે છે! એ બધી પબ્લિસિટીનો 'સૌતન'ને અને સાવનકુમારને એવો ફાયદો થયો કે ફિલ્મફેર એવોર્ડમાં પાંચ પાંચ કેટેગરીમાં નોમીનેશન્સ મળ્યાં. સાવનજીને ગીતકાર તરીકે ''શાયદ મેરી શાદી કા ખયાલ...' અને 'જિંદગી પ્યાર કા ગીત હૈ...' એમ બબ્બે ગાયન માટે વાચકોએ વોટ આપ્યા હતા!
'સૌતન'ની સફળતાથી ઉત્સાહમાં એ જ જોડી સાથે 'સૌતન કી બેટી' (૧૯૮૯) એનાઉન્સ કરી. પણ ત્યાં સુધીમાં ટીના મુનીમે રાજેશ ખન્નાને પત્ની (ડિમ્પલ)થી છુટાછેડા લેવાના આપેલ અલ્ટિમેટમની મુદત પૂરી થઈ. તેના થોડા સમય પછી ૧૯૯૧માં ટીના 'અંબાણી' થયાં એ જાણીતી હકીકત છે. સાવનકુમારે 'સૌતન કી બેટી' જીતેન્દ્ર અને રેખા સાથે પૂરી કરવી પડી. એ જ અરસામાં તાજા ચમકેલા સલમાન ખાનને લઈને 'સનમ બેવફા' બનાવી જે હિટ રહી. તેના એક ગીત 'અલ્લાહ કરમ કરના, લિલ્લાહ કરમ કરના, પરવર દિગાર-એ-આલમ બેક્સ પે રહમ કરના' માં સાવનકુમારની ઉર્દૂ પરની અને મુસ્લિમ માહૌલની પકડ પણ જોઇ શકાય છે. ગીતકાર તરીકે એ કોઇ નિર્માતાને ગાયન લખી આપતા તો પૈસા નહોતા લેતા. તેમણે રિતિક રોશનની પ્રથમ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' માટે 'પ્યાર કી કશ્તી મેં...' 'જાનેમન જાનેમન...' અને 'ચાંદ સિતારે ફુલ ઔર ખુશ્બુ, યે તો સારે પુરાને હૈં, તાજા તાજા કલી ખિલી હૈ હમ ઉસકે દીવાને હૈં...' જેવાં ત્રણ સરસ ગાયન આપ્યાં.
તો નિર્માતા જુગલ કિશોર માટે 'બરખા રાની જરા જમ કે બરસો...' જેવું વર્ષાગીત લખી આપ્યું, જે ગાયક મુકેશનાં રેકોર્ડ થયેલાં અંતિમ ગીતો પૈકીનું એક છે. કવિજીવ સાવનજી આમ તો સ્વભાવના સાલસ ગણાતા; પણ સમય આવ્યે મોટા નિર્માતાઓ સામે શીંગડાં ભરાવતા ખચકાતા નહીં, પછી એ નિર્માતાઓના એસોસિએશનની ચુંટણીમાં શક્તિ સામંતાના જુથ સામે હોય કે 'ખલનાયિકા'ના પ્રશ્ને સુભાષ ઘઈ! કદાચ એટલે જ તેમની અંતિમ વિધિ દરમિયાન સ્મશાનમાં પ્રેમચોપ્રા સિવાય કોઇ ખાસ જાણીતી ફિલ્મી હસ્તિઓ દેખાઇ નહીં. અરે, જ્યાં રુબરુ જવાની જરૃર ન હોય એવા ટવીટર પર શ્રદ્ધાંજલિ આપનારાઓ પણ ગણત્રીના જ લોકો હતા. તેમાં ઉષા ખન્નાજી ઉપરાંત તેમની સાથે 'સનમ બેવફા' (૧૯૯૧), 'ચાંદ કા ટુકડા' (૧૯૯૪) અને 'સાવન... ધ લવ સીઝન' (૨૦૦૩) કરનાર સલમાનખાન, તેમની ફિલ્મ 'લૈલા'ના હિરો અનિલ કપૂર, 'સાજન બિના સુહાગન'માં માત્ર ૧૩ વરસની વયે તક મેળવનાર પદમિનિ કોલ્હાપુરે અને તેમને 'ઉસ્તાદ' કહીને સંબોધનારા રાકેશ રોશનનો જ સમાવેશ થાય છે. એવી શુષ્ક વિદાય પછી તેમના આત્માની શાંતિ માટે શું કહીશું?... 'અલ્લાહ કરમ કરના, લિલ્લાહ કરમ કરના...!