હેટક્રાઈમ વધવાની શક્યતા : કેનેડામાં રહેતાં ભારતીયો, વિદ્યાર્થીઓને ભારત સરકારે ચેતવ્યા
ભારતીય સમુદાય અને વિદ્યાથીઓ હાઇકમિશન અને કોન્સ્યુલેટની વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકશે
કેનેડા સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી હતી
ભારત સરકારની આ એડવાઇઝરી કેનેડા માટે જવાબ છે કારણકે હજુ એક દિવસ પહેલા જ કેનેડા સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને ભારતમાં રહેતા નાગરિકો સાવચેતી રાખવા કહેવામાં આવ્યું હતું. કેનેડા દ્વારા જાહેર કરેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી હૂમલાના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં સાવધાની રાખવી જોઇએ તેમજ જો સંભવ હોય તો ભારતમાં બિન-જરૂરી યાત્રા ન કરવી જોઇએ.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ મંગળવારે તેના નાગરિકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાહ આપી છે. બુધવારે ભારતે પણ આવી જ એડવાઝરી જારી કરી હતી.
કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ´ડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂકયો હતો અને આપણા એક રાજદ્વારીને હાંકી કાઢયા હતા. જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢયા હતા.
કેનેડા દ્વારા જારી કરાયેલ એડવાઇઝરી બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી હતી. કહ્યું - કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા,ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં, એવું જોવા મળ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિને જોતા ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય સમુદાય અને વિદ્યાથીઓ હાઇકમિશન અને કોન્સ્યુલેટની વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકે છે.