પ૦ વર્ષોથી ખંભાતના અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા જરૂરતમંદો માટે અવિરત ચાલતી સાત્વિક ભોજન સેવા
- ૧૯૭૩માં ખંભાતના સમાજસેવક રણજિતરાય શાસ્ત્રી દ્વારા શરૂ કરાયેલ ભોજનાલયમાં માત્ર ૪૦ પૈસામાં ભરપેટ ભોજન અપાતું -હાલમાં શાસ્ત્રી પરિવાર, ટ્રસ્ટીગણ દ્વારા ૩૬પ દિવસ દરરોજ બપોરે ર રૂપિયામાં ટિફિનસ્વરુપે અપાતું ભરપેટ ભોજન
અન્નપૂર્ણા સસ્તું ભોજનાલયની સ્થાપના સમયે સદ્દગૃહસ્થો જોડાયા હતા
ખંભાતમાં રણજીતરાય શાસ્ત્રીએ ભૂખ્યાંને ભોજન મળી રહે તેવી મનોઇચ્છાને મૂર્તિમંત કરવા માટે ૧૯૭૩માં રહેરના બકરાવાળાના ખાચાંમાં અન્નપૂર્ણા સસ્તું ભોજનાલયની સ્થાપના કરી હતી. જેમાં ગાંડાભાઇ ચાવાળા, ચંદુભાઇ કેશવલાલ ધીયા, નટવરલાલ એસ.શાહ, હીરાભાઇ બાટાવાળા સહિત સદ્દગૃહસ્થોનો સહકાર અને સૌજન્ય પ્રાપ્ત થયું હતું.
આજીવન અને દૈનિક તિથિ યોજનામાં ૧૦૦થી વધુ નામ નોંધણી
ખંભાતમાં પ૦ વર્ષોથી જરુરતમંદો માટે આશિર્વાદ સમાન બનેલ અન્નપૂર્ણા ભોજનાલયની કામગીરીની સુવાસ દેશ ઉપરાંત વિદેશોમાં પણ ફેલાઇ રહી છે. સંસ્થામાં આજીવન તિથિ માટે રૂ.૩૦થી ૪પ હજાર અને દૈનિક તિથિ યોજનામાં રૂ.૩ હજારથી ૪પ૦૦ જમા કરાવવાના રહે છે. ભોજનાલયને ખંભાત શહેર, જિલ્લા અને વિદેશમાં વસતા સદ્દગૃહસ્થો તરફથી સહકાર મળતો રહ્યો છે. જેમાં વર્ષ દરમ્યાન ૧૦૦થી વધુ દૈનિક,આજીવન તિથિ પણ નોંધાયેલી હોવાનું જાણવા મળે છે.
દરરોજ રરપથી વધુ જરુરતમંદોને ભોજનસેવા ઉપલબ્ધ કરાવાય છે : ગોપાલભાઇ ભટ્ટ, સંચાલક
અન્નપૂર્ણા સસ્તું ભોજનાલયની માનવ સેવાની પ્રવૃતિ કાયમી ચાલતી રહે તે માટે વર્ષ ર૦૦૧માં અન્નપૂર્ણા ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હોવાનું ભોજનાલયના સંચાલક ગોપાલભાઇ ભટ્ટે જણાવ્યું હતું. દરરોજ રરપથી ર૭પ જરુરતમંદોને સંસ્થા દ્વારા બપોરે ટિફિનરુપે ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ બંને સમય ભોજન સેવા આપવામાં આવતી હતી. પરંતુ સાંજે ખીચડી-કઢી કે અન્ય ખોરાક વધવાના કારણે તેનો બગાડ થતો હતો. આથી માત્ર એક જ ટાઇમ દરરોજ બપોરે માત્ર રૂ. ર ટોકનપેટે લઇને ભરપેટ ભોજન આપવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, દરરોજ ગરમાગરમ દાળ,ભાત, શાક, રોટલી પીરસવામાં આવે છે. જયારે પ્રસંગોપાત કંસાર, શીરો, લાડુ, દૂધપાક, મીઠાઇ પણ પીરસવામાં આવે છે. ભોજનાલયમાં તમામ પ્રકારની દેખરેખ મુખ્ય મેનેજીંગ ડિરેકટર મિલિન્દભાઇ શાસ્ત્રીની રાહબરી હેઠળ કરવામાં આવી રહી છે.
ગરીબ અને જરુરતમંદોને શકય તેટલી સહાય કરવી એ આપણી સંસ્કૃતિની ઓળખ છે. તેમાંયે જરુરતમંદને માત્ર ટોકન રકમ લઇને ભરપેટ ભોજન આપવાનો ઉમદા વિચાર પ૦ વર્ષ પૂર્વ ખંભાતના શાસ્ત્રી પરિવારના મોભી, સમાજસેવક અને તત્કાલિન ધારાસભ્ય રણજિતરાય શાસ્ત્રીને આવ્યો હતો. ૧૯૭૩માં શરુ કરાયેલ અન્નપૂર્ણા સસ્તું ભોજનાલય પ૦ વર્ષોથી સતત જરુરતમંદ, આર્થિક રીતે અગવડતા ભોગવતા ગરીબોને 'કહેવા પૂરતી' રકમ લઇને દરરોજ બપોરે ભરપેટ ભોજન આપી રહ્યું છે. પાંચ પાંચ દાયકાથી જરુરતમંદોનો જઠરાગિj ઠારવાનો ભોજન યજ્ઞ સતત ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અન્નપૂર્ણા ભોજનાલય શરુ થયાના સમયમાં માત્ર ૪૦ પૈસામાં ગરમાગરમ ભરપેટ ભોજન આપવામાં આવતું હતું. હાલની કાળઝાળ મોંઘવારી અને કઠોળ,તેલ-ઘી, શાકભાજીના સતત વધતા ભાવો વચ્ચે પણ બપોરનું ભરપેટ ભોજનનું ટિફિન માત્ર રૂ. ર લઇને આપવામાં આવે છે. આ અનન્ય સેવા આર્થિક રીતે નબળા પરિવારો માટે આશિર્વાદરૂપ છે. તેમાંયે વર્ષના ૩૬પ દિવસ ભોજન સેવા સતત ઉપલબ્ધ રહેતી હોવાનો લાભાર્થીઓને સૌથી મોટો આનંદ છે.
વર્ષ ૧૯૭૩માં ખંભાતના બકરાંવાળાના ખાંચામાં સમાજ સેવક રણજીતરાય શાસ્ત્રી દ્વારા અન્નપૂર્ણા સસ્તા ભોજનાલયની સ્થાપના કરવામાં આવી હતી. ભૂખ્યાઓને ભોજન મળી રહે તેવા આશય સાથે ભોજનાલય શરુ કરાયુ ંહતું. જો કે જરુરતમંદ પરિવારોને મફતમાં લીધાનો ભાવ ન થાય અને સ્વમાન ન ઘવાય તે માટે ટોકન ફી પેટે માત્ર ૪૦ પૈસા લેવામાં આવતા હતા. શુદ્વ, સાત્વિક અને ગરમાગરમ ભરપેટ ભોજન પીરસવામાં આવતું હતું.
વર્ષ ર૦૦૧માં અન્નપૂર્ણા ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. જેમાં દાતાઓના સહયોગથી દરરોજ બપોરે ગરમાગરમ દાળ, ભાત, રોટલી, શાક અને તિથિ પ્રસંગે મીઠાઇનું ભોજન પુરું પાડવામાં આવે છે. સંસ્થાના સ્થાપક રણજીતરાય શાસ્ત્રીના સુપુત્ર મિલિન્દભાઇ શાસ્ત્રી સહિત પરિવાર આ સંસ્થાની દેખરેખ રાખી રહ્યો છે. સંચાલક સહિત દસ વ્યકિતઓના સ્ટાફ દ્વારા દરરોજ રરપથી વધુ લોકોને બપોરના સમયે ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ભોજનદાતા સમાન અન્નપૂર્ણા ભોજનાલય એ ખંભાતના ગરીબ, મધ્યમવર્ગના જરુરિયાતમંદ, મજૂર વર્ગના લોકો માટે સાચા અર્થમાં આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે.