આણંદ: સામરખા ઓવરબ્રિજની જોખમી ફૂટપાથ અકસ્માત સર્જશેની ભીતિ
આણંદથી ને.હા.નં.૮, અમદાવાદ-વડોદરા-મુંબઇ જતો એકસપ્રેસ-વે, નડિયાદ, ડાકોર, ગોધરા સહિતના સ્થળોએ જવા-આવવા માટે સામરખા ચોકડી થઇને આણંદ શહેરને જોડતો મુખ્ય બ્રિજ છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો માટે પરેશાનીરૂપ બની રહ્યો છે.
આ સાંકડા પુલના નવીનીકરણની વારંવાર રજૂઆતો છંતાયે સ્થિતિ યથાવત જોવા મળે છે. ખાસ કરીને સવારે વર્કીગ અવર અને સાંજે ૬થી ૯ના સમય દરમ્યાન નાના, મોટા અનેકો વાહનોની બ્રિજ પરથી અવરજવર રહે છે. જેના કારણે વાહનોની લાંબી કતારો પણ જામેલી જોવા મળે છે. આવા સમયમાં એમ્બ્યુલન્સ સહિતના ખાસ સંજોગોના વાહનોને પણ નીકળવાની તકલીફ વેઠવી પડી રહી છે.
વાહનોની ભરમારના કારણે ઓવરબ્રિજ પરથી ચાલતા જનાર રાહદારીઓ માટેની ફુટપાથ છેલ્લા ઘણા સમયથી તૂટી જવા સાથે જોખમી હાલતમંા ફેરવાઇ ગઇ છે. અકસ્માતવશ કોઇ વાહન આ તૂટેલી ફુટપાથ સાથે અથડાય તો અકસ્માત સર્જાવવાની ભીતિ સ્થાનિકો વ્યકત કરી રહ્યા છે. આથી આ મામલે સત્વરે સલામતીરુપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થવા પામી છે.