ખેડૂત આંદોલનને લઈને થયેલ અરજી
ખેડૂતોની માંગ પર વિચાર કરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની સલાહ
ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવાની ખેડૂતોની માગણી
ખેડૂતો આંદોલનના ૧૧ દિવસ વધુ એક ખેડૂતનું મોત થયું - અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત નિપજ્યા
એમએસપી કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે આંદોલનના ૧૧માં દિવસે વધુ એક ખેડૂતના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના આંદોલનમાં વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ૧૩ ફેબ્રુઆરીએ ખેડૂતોની 'દિલ્હી ચલો' કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર ૬૨ વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર ૮ એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર ૮ લાખ રૃપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.
ખેડૂત સંગઠને દર્શન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંગઠને મૃતક ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી છે. સંગઠનના જિલ્લા મહાસચિવ રેશમ સિંહે કહ્યું કે, સરકારે ખેડૂતોને સરહદ પર મરતા અટકાવવા તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ.
ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઉમટયા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે, સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરાઈ છે.
અરજીમાં માંગ કરાઈ છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આ સિવાય, ખેડૂતોની માંગ પર સરકારને વિચાર કરવા માટે પણ કહેવાયું છે. આ અગાઉ હાઈકોર્ટમાં પણ એક અરજી થઈ હતી.
ખેડૂત આંદોલનમાં પ્રદર્શનકારીઓના જેસીબી અને મોડિફાઈડ ટ્રેક્ટરોના ઉપયોગથી કાયદો વ્યવસ્થા બગડવાની દલીલ આપતા હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી દાખલ અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈક્નાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર પોતાની જવાબદારી નિભાવવાના બદલે કોર્ટનો ઉપયોગ કરવામાં લાગી છે. તમામ આ મામલે રાજનીતિ કરી રહ્યા છે.