નડિયાદ : અકસ્માતમાં ૧૦નાં મોત બાબતે કાર અને ટેન્કર ચાલક બંને વિરદ્ઘ ફરિયાદ નોંધાઈ
ટેન્કર ચાલકે હાઈવે ઓથોરિટી કે કોઈને પણ જાણ કર્યા વગર બંધ પડેલી ટેન્કરના પાછળ કોઈ આડસ કે કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર મૂક્યા ન હતા : બીજી બાજુ કારચાલકે ઓવરસ્પિડમાં ચલાવી ઈમરજન્સી પાર્કિંગ લેનમાં ઓવરટેક કરી હતી
કારના માલિકનો હજુ કોઈ પતો નથી
નડિયાદ નજીક અકસ્માતમાં ૧૦ના મોત નિપજ્યા હતા. ગઈકાલ સાંજ સુધી નવની ઓળખ થઈ હતી આજે પોલીસે દસમા વ્યક્તિની પણ ઓળખ કરી છે. તેનું નામ દીપકભાઈ નટવરલાલ ઠક્કર (ઉંમર ૫૮ રહે. વડોદરા) હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં તેનું પણ મોત થયું હતુ. જોકે આ કારના માલિક વિશે હજુ સુધી પોલીસને કોઈ માહિતી હાથ લાગી નથી પોલીસ કહે છે કે નામ બહાર આવ્યું છે પરંતુ તેની ખરાઈ થઈ રહી છે ત્યારબાદ મીડિયાને જણાવીશું.
નડિયાદ નજીકથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવે પર આવેલા બીલોદરા નજીક ગતરોજ બપોરે ગોઝારા અકસ્માતમાં ૧૦ વ્યક્તિઓના મોત થયા હતા. આ મામલે પોલીસે જાતે ફરિયાદી બની કાર ચાલક અને ટેન્કર ચાલક એમ બંન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ પાસેના જુના બિલોદરા નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અમદાવાદ તરફના લેન પર બુધવારે બપોરે ઈમરજન્સી લેન પર ઉભેલા ટેન્કર પાછળ અર્ટીકા કાર ઘૂસી જતાં કારનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કુલ ૧૦ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જેમાં એક ૪ વર્ષનો બાળક, તેના માતા-પિતા સહિત અન્યનો સમાવેશ થાય છે.
આ બનાવ બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસના પીએસઆઇ ડી.એસ.ઝાલાએ જાતે ફરિયાદી બની આ અકસ્માતનો ગુનો પોલીસ ચોપડે રજીસ્ટર કરાયો છે. ટેન્કર ચાલક ઈમતીયાઝઅહેમત ઈસ્તીયાક અહેમત અંસારી (રહે. શ્રી રામ પાડા અંબેચી ભરણી તુલેતપાડા ગણદેવી રોડ, મુંબઈ, મહારાષ્ટ્ર) અને અર્ટીકા કાર ચાલક મરણ જનાર સુરેન્દ્રસિંહ અમરસિંહ રાવત (રહે.ભીલવાડા, રાજસ્થાન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બંનેની ગંભીર બેદરકારીના કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલક ઈમતીયાઝઅહેમત અંસારીએ પોતાની ટેન્કર બંધ પડી જતાં હાઈવેની ઈમરજન્સી પાર્કીગ લેનમા વાહન ઊભું કરી દીધું હતું. પરંતુ આ બાદ હાઈવે ઓથોરિટી કે કોઈને પણ જાણ કરી નહોતી. તંદઉપરાંત આ ટેન્કર ચાલકે બંધ પડેલી ટેન્કરના પાછળ કોઈ આડાસ કે કોઈ પણ પ્રકારની રિફલેક્ટર મૂક્યા નહોતા. અને આરામાથી ટેન્કરના કેબીનમા બેસી રહ્યો હતો. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. જ્યારે મરણજનાર અર્ટીકા કાર ચાલક સુરેન્દ્રસિંહ રાવતે પોતાની કાર ઓવરસ્પિડમા ચલાવી ઈમરજન્સી પાર્કીગ લેનમાં ઓવરટેક કરવાથી દૂર્ઘટના બની શકે છે તેમ જાણવા છતાં આ લેનમાં ઓવરટેક કરી અકસ્માત સર્જ્યો હતો.