અમદાવાદ એરપોર્ટ પર સોના-ચાંદીની દાણચોરીમાં જંગી વધારો
પાંચ મહિનામાં ૨૪૧.૧ કિલો દાણચોરી કરાયેલ સોનું જપ્ત કરાયું
ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો થતાં સોનાની દાણચોરીના બનાવોમાં તીવ્ર વધારો થયો છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪માં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અને અમદાવાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા ૨૪૧.૧ કિલો દાણચોરી કરાયેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩ માં ૧૪૬.૪ કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલ તેની સરખામણીમાં આ ૬૫% નો વધારો દર્શાવે છે.
આ ઉછાળાથી શહેરના એરપોર્ટ પર સોનાની જપ્તી પાંચ વર્ષની ટોચે પહોંચી છે. કસ્ટમ્સના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૭૦ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ, નાણાકીય વર્ષ ૨૦૨૦માં દાણચોરીનું ૧૦૭.૨૩ કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોનાની દાણચોરી માટે ચોક્કસ રૃટનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "સ્મગલરો સતત તેમની પદ્ધતિઓ બદલતા રહે છે. એક કિસ્સામાં, સોનું પાઘડીમાં ગડીની વચ્ચે પાતળા સ્તર તરીકે છુપાવવામાં આવ્યું હતું, જ્યારે બીજા કિસ્સામાં, સોનાની પેસ્ટ બેગના અસ્તરમાં સ્ટફ્ડ કરવામાં આવી હતી," એક અધિકારીએ જણાવ્યું હતું. "અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય દાણચોરીના વલણો અને સોનું છુપાવવાની નવી રીતો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ."
જ્વેલર્સના મતે, સોનાના ભાવમાં તીવ્ર વધારો થવાથી વધુ લોકો ડયુટી અને ટેક્સથી બચવા માટે બિનસત્તાવાર માધ્યમો દ્વારા સોનું ખરીદે છે. "ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા, ભારત અને યુ.એસ.માં ચૂંટણીનું વર્ષ, ઊંચો ફુગાવો અને વધતા જતા સંઘર્ષોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં તેજી આવી રહી છે. ભારતીય રૃપિયો પ્રતિ ડોલર ૮૩.૫ સુધી નબળો પડવાથી, ભારતમાં સોનાની અસરકારક કિંમત ડયુટી ઉમેર્યા પછી પણ વધુ છે." હરેશ આચાર્ય, ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય નિર્દેશક સમજાવે છે.નાણાકીય વર્ષ ૨૦૨૦ થી નાણાકીય વર્ષ ૨૦૨૪ સુધીમાં સોનાના ભાવમાં લગભગ ૭૯% નો વધારો થયો છે. સોમવારે, સ્થાનિક બજારમાં સોનાની કિંમત ૭૭,૦૦૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી, જે ૩૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ ૪૩,૦૦૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતી.
સૂત્રોનું કહેવું છે કે સોના પરની મૂળભૂત કસ્ટમ ડયુટીમાં વધારો કરવામાં આવ્યો ત્યારથી સોનાની દાણચોરીમાં વધારો થયો છે. ૧૨.૫% કસ્ટમ ડયુટી, ૨.૫% એગ્રીકલ્ચર સેસ, ૩% ય્જી્ અને ૦.૧% આયાતકાર પ્રીમિયમ સહિત ૧૮% સુધીના કર અને ડયુટીની ચોરી કરવાથી દાણચોરોને ફાયદો થાય છે. આ ચોરીને કારણે પ્રતિ કિલો રૃ. ૧૩.૮૬ લાખથી વધુનો નફો થાય છે. કેરિયર ખર્ચ (રૃ. ૩૫,૦૦૦), થાઇલેન્ડ અથવા મિડલ ઇસ્ટની રીટર્ન ટિકિટ (રૃ. ૩૦,૦૦૦), અને ત્રણ દિવસના રોકાણ (રૃ. ૩૫,૦૦૦) જેવા ખર્ચને બાદ કર્યા પછી, દાણચોરીના સોનાના કિલો દીઠ અસરકારક નફો રૃ. ૧૨.૮૬ લાખ છે.