પાણીની લાઇનમાં લીકેજના કારણે બિમારી ફેલાઇ હતી
સોજીત્રા : કાંસમાંથી પસાર થતી પાણીની લાઇન સહિત ૭ સ્થળોએ લીકેજ મળ્યા
પાંચ દિવસમાં ઝાડાના નોંધાયેલ કુલ ૬ર કેસ, હાલમાં ૪ દર્દી સારવાર હેઠળ
બે દિવસમાં કલોરીનેશન પ્લાન્ટ કાર્યરત કરવા તાકિદ
સોજીત્રા નગરપાલિકાને તાત્કાલીક લીકેજ રીપેર કરાવવા અને તમામ પાણીના સપ્લાય સ્ત્રોતમાં ઓટોમેટીક કલોરીનેશન પ્લાન્ટ ફીટ કરાવવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેથી તાત્કાલિક એજન્સીને બોલાવીને આયોજન હાથ ધરાયા હતા. જેના ભાગરુપે બે દિવસમાં સોજીત્રામાં કલોરીનેશન પ્લાન્ટ કાર્યરત બનવાથી શહેરીજનોને કલોરીનેશનયુકત પાણી ઉપલબ્ધ થશે. જેના કારણે પાઇપ લીકેજ સહિતની સર્જાતી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશેની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
શહેરમાં પાણી પહોંચાડતી પાઇપલાઇનમાં ૭ લીકેજ મળી આવતા નિરાકરણ હાથ ધરાયું
આરોગ્ય વિભાગના અધિકારી સહિતની ટીમે સોજીત્રામાં પીવાના પાણીની પાઇપલાઇનની હાથ ધરેલ ચકાસણીમાં જૂની કોર્ટ સામેના કાંસમાંથી પસાર થતી પાઇપલાઇન સહિત અન્ય સાત સ્થળોની પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું. જેમાં તાલુકા પંચાયત કચેરી સામે ર, જૂની કોર્ટની બાજુમાંથી પસાર થતા કાંસ ઉપર, ધીરુભાઇ ભોઇની દુકાનની પાછળ હોજ, તા.પં.કચેરીથી સા.આ.કેન્દ્ર તરફ આવતા રસ્તામાં વીજ પોલની ડાબી બાજુ, નાની અંબા માતા પાસે (રહેણાંક) અને બીઆરસી ભવનની પાસે પાણીની ટાંકી બાજુ પાઇપલાઇનમાં લીકેજ શોધાયુ ંહતું. આ તમામ લીકેજને સત્વરે બંધ કરવા સહિતની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી.
અસરગ્રસ્ત વિસ્તારના ઘરોમાં કલોરીનેશન ટેસ્ટ, સેમ્પલ પેટલાદ સિવિલ મોકલાયા
સોજીત્રાના અસરગ્રસ્ત વિસ્તારના ઘરોમાં ૧પ૦ કલોરીનેશનના ટેસ્ટ કરાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ગરમીમાં તાજો અને ઢાંકેલો ખોરાક, ગરમ કરેલું કે કલોરીનવાળું પાણી પીવાની સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત એકાએક ફેલાયેલ બિમારીના પૃથકકરણ માટે ઝાડાના ચાર સેમ્પલ અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી પાણીના ૩ સેમ્પલ પેટલાદ સિવિલ ખાતે તપાસ માટે મોકલી અપાયા છે.
સોજીત્રા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય વાવર ફેલાયો હોવાની સ્થિતિ સર્જાવવા પામી હતી. જેમાં છેલ્લા પાંચેક દિવસથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. મોટાભાગના દર્દીઓ સોજીત્રા પીએચસી સેન્ટર અને કેટલાક ખાનગી દવાખાનામાં સારવાર મેળવ્યાનું જાણવા મળે છે. બિમારીનો વાવર પીવાના પાણીની લાઇનમાં લીકેજ અને તેમાં દૂષિત પાણી ભળવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી.
દરમ્યાન કલેકટર પ્રવિણ ચૌધરી અને ડીડીઓ મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારના સુપરવિઝનમાં આજે આરોગ્ય વિભાગની ટીમની સમગ્ર સોજીત્રામાં સઘન તપાસ બાદ પીવાના પાણીની લાઇનમાં સાત સ્થળોએ લીકેજ શોધવામાં આવ્યા હતા. આરોગ્યની ટીમમાં એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.રાજેશ પટેલ, ટીએચઓ ડો.આઇ.કે.પ્રજાપતિ, જિલ્લા એપેડેમીયોલોજીસ્ટ ડો.રોશની કોલી સહિતનો સ્ટાફ જોડાયા હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી દૈનિક ૧૦૦થી વધુ ઓપીડી કેસો આરોગ્ય કેન્દ્રમાં નોંધાતા હતા.જેમાં કેટલાક ઝાડા-ઉલ્ટીની તકલીફથી ગંભીર બિમાર હોવાનું જોવા મળતા તેઓને દાખલ કરીને બોટલ ચડાવવી, ઇંજેકશન આપવા સહિતની સારવાર આપવામાં આવી હતી. રોગચાળો વકરવા પાછળનું કારણ પાણીજન્ય હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી હતી. દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કેન્દ્રના તબીબે પણ પાણીના કારણે બિમારી હોય તેવા મોટાભાગના કેસોમાં જોવા મળ્યું હોવાનું અને સંભવિત પાણીની લાઇનમાં ગટર કે અન્ય કચરો ભળી ગયાની સંભાવના વ્યકત કરી હતી.
આરોગ્ય વિભાગના મતે આજ દિન સુધી સોજીત્રામાંથી ઝાડાના કુલ ૬ર કેસ નોંધાયા હતા. જેમાંથી હાલ ૪ દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. જયારે કલોરીનેશનના રપ૭ ટેસ્ટમાંથી ૯૦ નેગેટીવ અને ૧૬૭ પોઝીટીવ આવ્યા હતા. રોગચાળાને નિયંત્રણમાં લાવવા ૧૬ આરોગ્ય ટીમો દ્વારા ૩૦પ ઓઆરએસ અને ર૭૩પ કલોરીન ટેબલેટનું વિતરણ કરાયું હતું. જો હાલ બિમારીની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું ટીમે જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતોમાં સોજીત્રામાં તળાવની નજીકમાં વર્ષો પૂર્વ પાણીના બે કૂવા બનાવવામાં આવ્યા હતા. જેમાંથી સમ્પ દ્વારા પાણીને ટાંકી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાર બોરકુવાઓમાં પહોચાડવામાં આવે છે. પરંતુ કુવામાંના પાણીનું પૂરતા પ્રમાણમાં કલોરીનેશન ન થવાના કારણે કાળઝાળ ગરમીમાં ઝાડા-ઉલ્ટીનો વાવર વર્કયાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગતરોજ આરોગ્ય ટીમે સોજીત્રા શહેરમાં પાણી સપ્લાય કરનાર કુવા, બોરકુવા સહિતના જળસ્ત્રોતનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ પાણીના અપૂરતા કલોરિનેશનના કારણે પાણીજન્ય રોગચાળો વકરતો હોવા અંગે સોજીત્રા પાલિકાને નોટિસ આપવામાં આવી હતી.