ઝાડા-ઉલ્ટીના રોગચાળા બદલ કારણભૂત પાઇપલાઇનના લીકેજ સત્વરે રીપેર કરાવવા નોટિસ આપી હતી છતાંયે...
સોજીત્રા : ૬ લીકેજનું રીપેરીંગ બાકી હોવા છતાંયે તમામ કામગીરી પૂર્ણ કરાયાનું ચીફ ઓફિસર-વહીવટદારનું જુઠ્ઠાણું!
તા. ર૪ મે, શુક્રવારે આરોગ્ય અધિકારીઓની રુબરુ તપાસમાં ૧૦ પૈકી માત્ર ૪ લીકેજ રીપેર થયાનું જોવા મળ્યું હતું, કલેકટરને અહેવાલ મોકલાયો
શહેરમાં પાણી પૂરું પાડતા બોર-વાલ્વની કુંડી લીલ-ગંદકીગ્રસ્ત
સોજીત્રામાંથી આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૯ પાણી કલોરીનેશન ટેસ્ટ કરાયા હતા. જેમાંથી ૪૯ નેગેટીવ અને ૬૦ પોઝીટીવ આવ્યા હતા. દરમ્યાન આજે પુન: પાણીના ૧૯ સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. ટીમની રુબરુ તપાસમાં શહેરમાં પાણી પુરું પાડવા માટેના બોરની આસપાસમાં ઝાડી-ઝાંખરા સહિત ગંદકી જોવા મળી હતી. ઉપરાંત પાણીના વાલ્વની કુંડી પણ સ્વચ્છ હોવાના બદલે લીલ-ગંદકીથી ખદબદતી જોવા મળી હતી. આ પ્રકારે દૂષિત થતું પાણી પાઇપલાઇન દ્વારા શહેરીજનોના ઘર સુધી પહોંચતું હોવાથી પુન: રોગચાળો વકરશેની ભીતિ પણ જાગૃતજનોએ વ્યકત કરી હતી. તમામ બોર, કુંડીની સાફસફાઇ સહિત લોકહિતલક્ષી કામગીરી કરવા માટે પાલિકા-વહીવટદારને તાકિદ કરવામાં આવી હતી.
લીકેજ કામ ન થયાનું પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને મામલતદારને રુબરુ બોલાવીને બતાવ્યું : રવિ ભટ્ટ, જાગૃતજન
સોજીત્રામાં પાઇપ લીકેજની તમામ કામગીરી પૂર્ણ થયાનો ગતરોજ પ્રાંત અધિકારીને પણ રિપોર્ટ મોકલાયો હોવાનું જાણ થતા સોજીત્રાના જાગૃતજન રવિ ભટ્ટે પ્રાંત અધિકારીને ફોન દ્વારા જણાવ્યું હતું કે, રિપોર્ટ તદ્દન ખોટો છે. છ લીકેજની કામગીરી થઇ જ નથી. જેથી પેટલાદ પ્રાંત અધિકારી જાની સોજીત્રા આવી પહોંચ્યા હતા જેઓ સાથે રવિ ભટ્ટે ચીફ ઓફિસર રોય, વહીવટદાર-મામલતદાર કાપડીયાને બપોરે એક વાગ્યાના સુમારે ત્રણેક કિલોમીટર લીકેજ વિસ્તારોની રુબરુ મુલાકાત કરાવી હતી. જેથી ગતરોજ ખોટો રિપોર્ટ મળ્યાનો મામલો ઉજાગર થયો હતો. રવિ ભટ્ટે જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાએથી સૂચના મળતા લીકેજની કામગીરીનો ધમધમાટ વધ્યો હતો અને અધિકારીઓ પણ મોનેટરીંગ કરતા હતા. જેથી સાંજે પ વાગ્યા સુધી તમામ લીકેજની કામગીરી પૂરી થઇ હતી જયારે એક લીકેજ માટે આખી લાઇન ખોદવી પડેની સ્થિતિ હોવાનું જોવા-જાણવા મળ્યું હતું.
સોજીત્રામાં છેલ્લા દસ દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે ઝાડા-ઉલ્ટીના વ્યાપેલ વાવરના પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા સધન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સોજીત્રા પાલિકા દ્વારા શહેરમાં પીવાનું પાણી પુરું પાડતી પાઇપલાઇનોમાં ૧૦ જગ્યાએ લીકેજ જોવા મળ્યા હતા. જેથી રોગચાળાની સ્થિતિ પર સત્વરે નિયંત્રણ લાવવા નગરપાલિકા અને વહીવટદારને લીકેજ સત્વરે રીપેર કરવા નોટિસ આપવામાં આવી હતી. સાથોસાથ પાણી કલોરીનેશન માટેનો પ્લાન્ટ પણ સત્વરે બનાવવાની કામગીરી હાથ ધરવા તાકિદ કરવામાં આવી હતી.
ગતરોજ સોજીત્રા પાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર દ્વારા પાઇપલાઇન લીકેજ રીપેર માટે કામદારોની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત કચરા, ગંદકીના ખડકાયેલા ઢગને જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે સાંજ સુધીમાં તમામ દસ લીકેજ રીપેર થઇ ગયાનું અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પાલિકાના વહીવટદાર-સોજીત્રા મામલતદારે જણાવ્યુ ંહતું.
બીજી તરફ આ અંગે આરોગ્ય વિભાગને પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, તમામ લીકેજ રીપેર થઇ ગયાની સારી બાબત છે અને આવતીકાલે અમારી ટીમ રુબરુ સ્થળ તપાસ કરીને કલોરીનેશન પ્લાન્ટ સહિત લોક આરોગ્યની બાબતો અંગે આયોજન હાથ ધરશે.
જો કે આજે આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. રાજેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.આઇ.કેે.પટેલ સહિતના પદાધિકારી, આરોગ્ય સ્ટાફે સોજીત્રામાં વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી હતી. જે દરમ્યાન ગંભીર વાત એ ઉજાગર થવા પામી હતી કે, બપોરે ૩ વાગ્યા સુધીમાં શોધાયેલા કુલ ૧૦ લીકેજ પૈકી માત્ર ૪ લીકેજ રીપેર કરાયા હતા, જયારે બાકીના ૬ની કામગીરી બાકી હતી. જેથી ગત સાંજે તમામ લીકેજ રીપેર થયાનું ચીફ ઓફિસર-વહીવટદારે જુઠ્ઠાણું ચલાવ્યાનો મામલો ખુલ્લો પડતા જાગૃતજનોમાં રોષ વ્યાપ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા આ ગંભીર બાબતની નોંધ લઇને નગરપાલિકાને તાત્કાલિક લીકેજ રીપેર કરવા અને તમામ પાણીના સપ્લાયના સ્ત્રોતમાં ઓટોમેટીક કલોરીનેશન પ્લાન્ટ ફીટ કરવા સૂચના આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે કુલ ૬૯ દર્દીઓ નોંધાયા છે. જેમાં આજે ૪ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા સહિતનો તમામ અહેવાલ કલેકટર, આણંદને મોકલી આપવામાં આવ્યાનું જાણવા મળે છે.