ઠાસરાની ક્રેડિટ સોસાયટીમાંથી નકલી દાગીના મૂકી ૧.૭૦ કરોડની લોન લેનાર ૧૪ સભાસદ-વેલ્યુઅર સામે ફરિયાદ
પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરીને ગુનો દાખલ કર્યો : વેલ્યુઅર ચિરાગ ચોક્સી ભૂગર્ભમાં ઉતરી ગયો : અન્ય વેલ્યુઅર દ્વારા દાગીનાની ખાતરી તપાસ કરતા બનાવટી તેમજ કેટલાક ઓછા વજનવાળા નીકળ્યા
લોન લીધા બાદ હપ્તા ભરવાનું બંધ કર્યું
સોસાયટીમાંથી લોન લેનાર ખાતેદારોએ દાગીના ઓછા વજવાળા તેમજ નકલી મૂક્યા હોય લોન લીધા બાદ થોડા દિવસ હપ્તા ભર્યા અને પછી હપ્તા ભરવાનું બંધ કર્યું હતું. જેથી તેમને નોટિસ પણ મળી હતી. લોન લેનાર ૧૪ ખાતેદારનો ખબર હતી કે પોતે જેના પર ધિરાણ લીધું છે તે દાગીના નકલી છે ભલે બેન્ક તેને વેચી દે, જેથી તેઓ હપ્તાઓ ભરતા નહોતા.
મુખ્ય ભેજાબાજ વેલ્યુઅર ડિરેક્ટરનો સગો હોવાની ચર્ચા
કો.ઓ.ક્રેડિટ સોસાયટીએ જે ચોકસીને વેલ્યુએર તરીકે નિમણૂક કરવામાં આવી હતી તે સોસાયટીના કોઈ ડિરેક્ટરનો સગો હોવાની ચર્ચા પણ ચાલે છે તેણે જ લોકોને ઉભા કરી દાગીના પણ લોન અપાવવાનું કામ કર્યું હતું અને વેલ્યુ રિપોર્ટ ખોટા આપ્યા હતા. એટલે સમગ્ર ગોલ્ડ લોન પ્રકરણનો મુખ્ય ભેજા બાજ વેલ્યુઅર હોવાનું દેખાઈ રહ્યું છે.
ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલ ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમા ખોટા દાગીના ધીરાણામા મૂકી રૃ ૧.૭૦ કરોડ ની લોન લેનાર ૧૪ ખાતેદારો તેમજ દાગીના અસલી છે તેવું વેલ્યુ સર્ટિફિકેટ આપનાર સોની મળી ૧૫ વ્યક્તિઓ સામે બેંકના ચેરમેને ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસહાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ ઠાસરામાં ં રહેતા અરૃણભાઈ ગોવિંદભાઈ પટેલ ઠાસરા બજારમાં આવેલ ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમા ચેરમેન તરીકે વર્ષ ૨૦૨૧થી ચેરમેન તરીકે ફરજ બજાવે છે. આ સોસાયટી ધી ગુજરાત કો.ઓ. સોસાયટી એકટ હેઠળ રજીસ્ટ્રેશનથી રજીસ્ટર્ડ થયેલ સહકારી ક્રેડિટ સોસાયટી છે. જે નાણાં ધીરધારનું કામ પણ કરે છે. આ સોસાયટી દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા અને ઠાસરામાં રહેતા ચિરાગ જગદીશભાઈ ચોકસીને વેલ્યુઅર તરીકે નિમણૂક કરી હતી.
આ સોસાયટી સોના, ચાંદીના દાગીના ઉપર જે ધિરાણ કરે તે દાગીનાની ચકાસણી કરવાનું કામ ચિરાગ ચોકસીને સોંપેલ હતું અને તે સોસાયટીના એજન્ટ તરીકે પણ કામ કરતો હતો.
થોડા માસ પહેલા બેંકના સત્તાધીશોને કોઈએ ગુપ્ત માહિતી આપી હતી કે બેંકમાં ધિરાણમાં મુકેલા દાગીના નકલી છે. ધિરાણ લેનાર અને વેલ્યુઅર વચ્ચે મિલીભગત હોય તેમણે ખોટા સર્ટી. આપ્યા હોવાની વાત પણ જાણવા મળી હતી. જેથી બેંક દ્વારા આ દાગીનાની ખરાઈ કરવા માટે અન્ય સોનીને આપતા દાગીના ખોટા હોવાનું બહાર આવ્યું હતું. જેથી બેંકે ૧૪ ખાતેદારોને આ બાબતે નોટિસ પાઠવી હતી.
નોટિસ મળતા જ ખાતેદારોએ હોબાળો મચાવ્યો હતો. ચોર કોટવાલને દંડે તેમ લોન લેનાર ખાતેદારોએ બેંકે દાગીના બદલી નાખ્યા હોવાના આક્ષેપો કર્યા હતા તો વળી બેંંક દ્વારા વેલ્યુઅરે ખોટા સર્ટિફિકેટ આપ્યા હોવાની વાત રજૂ કરી હતી. આમ બેંક અને લોન લેનાર વચ્ચે છેલ્લા ઘણા દિવસથી આ મુદ્દે તુ તુ મેમે થતી હતી. બેંકના સત્તાધીશો એ આ બાબતે ઠાસરા પોલીસમાં સભાસદો સામે ખોટા દાગીના મૂકીને લોન મેળવી હોવા બાબતની ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી.
છેવટે આજે સોસાયટીના ચેરમેન દ્વારા થયેલી અરજીના તપાસ બાદ ઠાસરા પોલીસે તેમની ફરિયાદના આધારે ભૂર્ગભમાં ઉતરી જનાર વેલ્યુર અને ૧૪ જેટલા સભાસદો સામે ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, ચોકસી ચિરાગભાઈ જગદીશભાઈનાઓ ધી ઠાસરા વેપારી મંડળ કો.ઓ. ક્રેડિટ સોસા. માં સોના ચાંદીના દાગીનાની ચોકસાઈ કરવા કાયદેસરના એજન્ટ તરીકે નિમાયેલ છે. અને ઉમીશા ચિરાગ ચોકસી, દેવાંગ જગદીશભાઈ ચોક્સી, અબ્દુલહુસેન અબ્દુલમુક્તિ કાજી, રાકેશભાઈ સોમાભાઈ પટેલ, સુજીતકુમાર આર. જયસ્વાલ, નરવતસિહ કાભઈભાઈ પરમાર, જૈમીન અરવિંદભાઈ પટેલ, રણજીત વલ્લભભાઈ ચૌહાણ, નીપાબેન દેવાંગભાઈ ચોકસી, ભારતીબેન જગદીશભાઈ ચોકસી, અજીતભાઈ રમણભાઈ રાઠોડ, કિરણભાઈ મેલાભાઈ બારૈયા, પ્રજ્ઞોશભાઈ પૂનમભાઈ રાણા જે તમામ આ સોસાયટીના સભાસદો છે. સભાસદોએ આ સોસાયટીમાં પોતાના સોના, ચાદીના દાગીના મૂકી ૧૪ જુલાઈ ૨૦૨૨થી ૬ નવેમ્બર ૨૦૨૩ વચ્ચે આ તમામ લોકોએ ગોલ્ડ લોન લીધી હતી.
જે તે સમયે આ સોસાયટીના વેલ્યુઅર મારફતે દાગીનાની ચકાસણી કરાઈ હતી. ગોલ્ડ લોન લેનાર તમામ લોકો રકમ ભરપાઈ ન કરતા ૧ વર્ષની મુદત વિત્યા બાદ ચઢેલા વ્યાજ સહિતની રકમ બાકી પડતા ઉપરોક્ત બાકીદારોને લેખિત તેમજ મૌખિક સોસાયટી દ્વારા જાણ કરાઈ હતી. અને ૧૪ સભાસદોના કુલ ૧,૭૦,૯૭૦૦૦ બાકી પડતી રકમ ભરપાઈ નહીં કરતા નાણાં વસૂલાત માટે વકીલ મારફતે સોસાયટીએ બાકીદારોને નોટીસો પણ આપી
હતી.
જેનો જવાબ પણ લેણદાર તરફથી આપવા આવ્યા નહોતા. આ બાદ વેલ્યુઅર ચિરાગ ચોકસીને ૬ માર્ચ ૨૦૨૪ના રોજ હાજર રહેવા અને જે તે બાકીદારોના દાગીનાની ચકાસણી માટે સોસાયટી દ્વારા કહેવામાં આવેલ હતું. પરંતુ તે વેલ્યુઅર હાજર રહ્યો નહોતો. સોસાયટી દ્વારા વારંવાર કહેવા છતાં વેલ્યુઅર હાજર રહ્યો નહોતો. આથી સોસાયટી દ્વારા અન્ય વેલ્યુઅરને રોકી વીડીયોગ્રાફી સાથે અલગ-અલગ તારીખો દરમિયાન સભાસદોને બોલાવી તેમણે મૂકેલા ગોલ્ડની ચકાસણી કરવામાં આવી હતી.
જેમાં ઉપરોકત તમામ લોકોના સોના, ચાંદીના દાગીના ખોટા તેમજ ઓછા વજનવાળા હોવાનું સામે આવ્યું હતું. જેનો વેલ્યુએશન રીપોર્ટ આવતા આ ક્રેડીટ સોસાયટી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા જે તે સમયના વેલ્યુઅર ચિરાગ ચોક્સી અને અન્ય જેના ગોલ્ડ ખોટા અથવા વજનમાં ઓછા છે તે ઉપરોક્ત તમામ સામે આજે સોસાયટીના ચેરમેને ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.