Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
કર્ણાટકમાં લિંગાયત સમુદાયની અનામતની માંગને લઈને હિંસક પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ
-ભાજપના અનેક ધારાસભ્યો અને બસવજય મૃત્યુંજય સ્વામીની અટકાયત કરી -લિંગાયત પંચમસાલી સમુદાયની ૫ ટકા અનામત વધારીને ૧૫ ટકા કરવા માંગ
11/12/2024 00:12 AM Send-Mail
કર્ણાટકમાં લિંગાયત પંચમસાલી સમુદાયના આરક્ષણની માંગને લઇને વિરોધ પ્રદર્શન હિંસક બન્યું છે. મંગળવારે બેંગલુરુમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, પ્રદર્શનકારીઓએ સુરક્ષા કોર્ડન તોડીને વિધાનસભા તરફ કૂચ કવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને પાછા ધકેલ્યા હતા.

લાઠીચાર્જમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.પોલીસે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ભાજપના અનેક ધારાસભ્યો અને બસવજય મૃત્યુંજય સ્વામીની અટકાયત કરી હતી. ઘટનાસ્થળે રસ્તા પર જૂતા અને ચપ્પલ વેરવિખેર જોવા મળ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓના માથામાંથી લોહી નીકળતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.

રાજયની કોંગ્રેસ સરકાર અને વિપક્ષી પાર્ટીઓ ભાજપ અને જેડીએસ વચ્ચે આને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. વિરોધ પક્ષોએ કોંગ્રેસ પર સંતોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં મુખ્યમંત્રી સિદ્ઘારમૈયાએ કહ્યું, અમે પ્રદર્શનની વિરૂદ્ઘ નથી. મે પ્રતિનિધિઓને ચર્ચા માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તે શાંતિથી થવો જોઇએ. પંચમસાલી લિંગાયત સમુદાય હાલમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૫ ટકા અનામત ભોગવે છે. હવે તેઓ તેને વધારી ૧૫ ટકા કરવાની માંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ઘારમૈયા સમુદાયના નેતાઓને મળ્યા અને તેમને પછાત વર્ગ આયોગના અહેવાલની રાહ જોવા કહ્યું અને ખાતરી આપી કે તેઓ રિપોર્ટના આધારે યોગ્ય નિર્ણય લેશે. મંગળવારે સવારે, બસવજય મૃત્યુંજય સ્વામીના નેતૃત્વમાં ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા. તેમની આગેવાનીમાં પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ગુસ્સે થયેલા આંદોલનકારીઓએ સરકારી વાહનો ઉપરાંત ધારાસભ્યોના વાહનોને પણ નુકસાન પહોંચાડયું હતું.પરિસ્થિતિને કાબૂમાં લેવા એડીજીપી આર હિતેન્દ્રએ લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ પ્રદર્શનકારીઓ ત્યાંથી ખસવા લાગ્યા હતા. જો કે, કેટલાક પ્રદર્શનકારીઓ સંમત નહોતા, જેના કારણે પોલીસે તેમના પર બળપ્રયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં ઘણા પ્રદર્શનકારીઓને ઇજા થઇ અને કેટલાકના માથામાંથી લોહી પણ નીકળ્યું. આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠયો હતો. ભાજપે કોંગ્રેસ સરકાર પર જાણી જોઇને બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.