સેવાલિયા પંથકમાંથી ૭ ટ્રેક્ટરો પંચમહાલ જિલ્લાના શખ્સોએ ભાડેથી લઈને છેતરપીંડી કરતા ફરિયાદ
માસિક રૂા. ૨૦ હજાર ભાડુ નક્કી કરીને એડવાન્સમાં ચુકવી વિશ્વાસ સંપાદન કરીને કરેલી ઠગાઈ
વાહનો ભાડે લઈ છેતરપિંડી કરવાના બનાવ છાશવારે અખબારના પાને ચમકે છે છતાં પણ લાલચમાં આવીને લોકો પોતાના વાહનો ભાડે આપતા હોય છે. સેવાલિયા પંથકમાં સાત ટ્રેક્ટર માલિકોએ માસિક ૨૦,૦૦૦ના ભાડાની લાલચમાં પંચમહાલ જિલ્લાના સાત ઈસમોને પોતાના ટ્રેક્ટર કોઈ જાતના નોટરી કરાર કર્યા વગર ભાડે આપી દીધા હતા. જોકે બાદમાં ભાડું આપવાનું તેમજ ટ્રેક્ટર પરત આપવાનું ભાડે લેનાર ઈસમોએ ઈન્કાર કરતા મામલો સેવાલિયા પોલીસમાં પહોંચતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના રામપુર ગામે રહેતા ઉદાભાઈ પરમાર પાસે પોતાની માલિકીનું ટ્રેક્ટર છે. ગત તા. ૧૦ જાન્યુ ૨૦૨૫ના રોજ તેમનો પરિચય પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સોમાભાઈ પટેલ સાથે થયો હતો. વાતવાતમાં સોમાભાઈએ જણાવ્યું હતુંકે મારે ટ્રેક્ટર ભાડે લેવું છે જેથી ઉદાભાઈએ પોતાનું ટ્રેક્ટર ભાડે આપવાની ઈચ્છા દર્શાવી હતી અને રૂા. ૨૦ હજાર માસિક ભાડું નક્કી કરે તે દિવસે સોમાભાઈને પોતાનું ટ્રેક્ટર ભાડે આપ્યું હતું. વિશ્વાસ બેસે તે માટે સોમાભાઈએ ટ્રેક્ટરનું પ્રથમ ભાડું આપી દીધું હતું. જેથી ઉદાભાઈને વિશ્વાસ બેસી ગયો હતો. આની જાણ અન્ય ગામના ૬ ખેડૂતને થઈ હતી. તેમણે પણ પોતાનું ટ્રેક્ટર ભાડે આપવા માટે ઉદાભાઈને વાત કરી હતી. ટ્રેક્ટર લેતા પહેલાં ૨૦ હજારનું ભાડું આપતા હોય એટલે પાર્ટી વિશ્વાસલાયક છે. તેવું સૌ કોઈને મનમાં થાય તે સ્વાભાવિક છે એટલે ઉદાભાઈએ અન્ય ખેડૂતોને પણ મેં મારું ટ્રેક્ટર ભાડે આપ્યું છે. તમે તમારું પણ આપો તો કંઈ વાંધો આવશે નહીં તેવું જણાવતા ગળતેશ્વર તાલુકાના બીજા અન્ય બીજા ૬ જેટલા ખેડૂતોએ લોભ લાલચમાં પોતાનું ટ્રેક્ટર આ સોમાભાઈ પટેલ અને તેના કહેવાથી તેમના મળતીયાઓ ધર્મશ ઉર્ફે બોડો પટેલ, વિશાલ પટેલ, કાર્તિક ચૌહાણ, ભરત ભરવાડ, રાકેશ વણકર અને વિનોદ ઉર્ફે મુકેશ ચૌહાણ (તમામ રહે જિ. પંચમહાલ)ને ટ્રેક્ટર તેમજ ટ્રોલી કુલ સાત નંગ કિંમત રૂા. ૨૭ લાખના કિંમતના ભાડા પર ફેરવવા આપ્યા હતા. રૂા. ૨૦ હજારથી માંડીને રૂા. ૨૫ હજાર સુધીનું ભાડુ નક્કી કરાયું હતું. જો કે જે તે સમયે આ ટ્રેક્ટર માલિકોએ કોઈ ભાડા કરાર કે નોટરી કરી ન હતી.
આ બાદ ટ્રેક્ટર માલિકોએ પોતાના વાહનો ક્યાં ફરે છે તે જાણવા અવારનવાર ભાડે આપેલા વ્યક્તિઓને કહેતા હતા પરંતુ તે લોકો કોઈ જવાબ આપતા ન હતા. આ ઉપરાંત નક્કી કરેલું ભાડું પણ આપ્યું ન હતું તેમજ વાહનો પરત માંગતા તે પણ આપ્યા ન હતા. ટ્રેક્ટર માલિકોએ તપાસ કરાવતા આ તમામ સાતે સાત ટ્રેક્ટર સુખવિન્દર ઉર્ફે રૂમી ભૂપેન્દ્રસિંહ ગરેવાલ (રહે. ગોધરા) નામના ઈસમ પાસે હોવાનું માલિકોને જાણ થઈ હતી. જેથી ટ્રેક્ટર માલિકોને પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાટ થયો હોવાનો અહેસાસ થતાં આ સમગ્ર મામલે ઉદાભાઈ પરમારે સેવાલિયા પોલીસ મથકે ઉપરોક્ત ૮ ઈસમો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ેફરિયાદ નોંધાવી હતી.