નડિયાદ : ડંમ્પીંગ સાઈટમાં કચરો સળગતા અસહ્ય ધુમાડાથી ગુસ્સે ભરાયેલા રહીશોએ ટ્રેક્ટર અટકાવ્યા
પાણીનો મારો ચલાવી ધુમાડાને બંધ કરાવતા રહીશોનો રોષ શમ્યો
નડિયાદ નજીક ગઈકાલે કેમિકલ ભરેલી ટેન્કર પલ્ટી ખાતાં આગ લાગ્યા બાદ નીકળેલા ધુમાડાથી પ્રજાને કળ વળી નથી ત્યાં નડિયાદમાં કમળા રોડ પર ડંમ્પીંગ સાઈટ પરના કચરાના ઢગને સળગાવવામાં આવ્યો હતો. જેથી ૮૦-૮૫ સોસાયટીના અંદાજે ૧૦૦થી વધુ લોકો ડંમ્પીંગ સાઈટ પર દોડી આવી કચરો ઠાલવવા આવતા કોર્પોરેશનના ટ્રેક્ટરોને અટકાવ્યા હતા અને રહીશો ડંમ્પીંગ સાઈટના ગેટ પાસે તંબુ તાણી ધરણા પર બેસી ગયા હતા. જો કે આની જાણ અધિકારીઓને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર સળગતા કચરા પર ફાયરની ટીમ દ્વારા પાણીનો છંટકાવ કરી મામલાને થાળે પાડવા પ્રયાસ કરાયા છે.
નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપંાતર થયા બાદ સ્વચ્છતા પર ભાર મુકવામાં આવ્યો છે. જેના કારણે કમળા રોડ પરના ડમ્પીંગ સાઈડ પર કચરાનો જત્થો એકાએક વધી ગયો છે. મહાનગરનો તમામ કચરો અહીંયા આવે છે. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી અહીંયા ડમ્પીંગ સાઈટ પર કચરો આકસ્મિક રીતે સળગતા તેનો ધૂમાડો દોઢ બે કિમી સુધી પ્રસરે છે. જે બાજુ પવન હોય એ બાજુ ધુમાડો પ્રસરે છે અને હવાને પ્રદૂષિત કરે છે. દોઢ -બે કિમીના પટાના વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને રાત્રે નિકળવું હોય તો ૧૦ વખત વિચાર કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાત્રે ઘરમાં પૂરાઈ રહેવું પડે છે અથવા તો બહાર નીકળો તો માસ્ક અને રૂમાલનો સહારો લેવા પડતો હોય છે. આવી સ્થિતિના નિર્માણ કમળા, મંજીપુરા, વનમાળી નગર, જવાહરનગર વગેરે વિસ્તારામાં થાય છે.
ગતરોજ આ સ્થિતિ ગંભીર બની હતી અને રાત્રે અસહ્ય ધુમાડાથી વિજીબીલીટી ઘટતા સ્થાનિકો અકળાયા હતા અને આજે બુધવારે સવારથી જ ડમ્પીંગ સાઈટની દોઢ-બે કિમી વિસ્તારમાં આવેલી ૮૦-૮૫ જેટલી સોસાયટીના રહીશોએ ડમ્પીંગ સાઈટ પર પહોંચી ત્યાં કચરો ઠાલવવા આવતી કોર્પોરેશનના ટ્રેક્ટરોને ડમ્પીંગ સાઈટની અંદર જતા અટકાવ્યા હતા. જેના કારણે કચરાના નિકાલ માટે આવેલા ટ્રેક્ટરો રોડ પર ઉભા કરી દેવાયા હતા.બીજી બાજુ સ્થાનિકો એટલી હદે આ સમસ્યાથી કંટાળી ગયા હતા કે ઉપરોક્ત સોસાયટીના અંદાજે ૧૦૦ થી ૧૫૦ યુવાનોએ ડંમ્પીંગ સાઈટ ગેટ પાસે જ તંબુ બાંધી ધરણાં પર બેસી ગયા હતા અને તમામ કચરાના ટ્રે્કટરને અટકાવ્યા હતા.
આ ઘટનાની જાણ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સંપૂર્ણ નિરીક્ષણ કરી સળગી રહેલા કચરા પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી અને પ્રાથમિક તબક્કે નિરાકરણ લાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ આ કાયમી પ્રશ્ર હોય કાયમી ધોરણે નિકાલ આવે તેવી માંગ ધરણાં પર બેઠેલા સ્થાનિકોએ કરી છે.