વડતાલમાં આવતીકાલે ૨૦૯મા ફુલદોલોત્સવની ભવ્ય ઉજવણી
સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી યોજાનારા રંગ ઉત્સવમાં ૩૦૦૦ હજાર કિલો કલરને એરપ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે, વિવિધ કલરના ૭૦થી ૮૦ ફૂટ ઊંચા ૨૫૦ બ્લાસ્ટ કરાશે : ૭ પ્રકારના પાંચ હજાર કિલો રંગ, કેસૂડાના પાંચ હજાર કિલો ફૂલ, ૨૦૦૦ કિલો ગુલાબની પાંદડીઓ અને ૧ હજાર કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાનને અભિષેક કરાશે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા. ૧૪ માર્ચ શુક્રવારે ૨૦૯મો ફુલદોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. વડતાલમાં આવેલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રીહરિ નંદ સંતો સાથે મનભરીને રંગે રમ્યા હતાં. આ ઐતિહાસિક અવસરને ૨૦૯ વર્ષ થયા છે. તેની સ્મૃતિમાં વડતાલ મંદિરના પટાંગણમાં પ્રતિવર્ષ ફાગણી પુનમે રંગોત્સવ ઉજવાય છે.
વડતાલ મંદિરના કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં સંતો અને ભક્તો તા. ૧૪ માર્ચના રોજ ફાગણી પુનમના રોજ ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ દિવસે મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર કરવામાં આવશે. ૭ પ્રકારના ૫૦૦૦ કિલો રંગ અર્પણ કરાશે. સવારે ભગવાનને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઉપરાંત કેસુડાના ૫૦૦૦ કિલો ફુલ, ૨૦૦૦ કિલો ગુલાબની પાંદડીઓ તથા ૧૦૦૦ કિલો હજારીના ફુલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક કરાશે. આ ઓર્ગનીક સપ્તધનુષના રંગો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે.
વડતાલ મંદિર ખાતે યોજાનાર ખેડા જિલ્લાના સૌથી મોટા રંગોત્સવમાં ૫ દેશના તથા સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રના હજ્જારો હરીભક્તો આવશે. હાલ સમગ્ર મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવેલ છે. મંદિર પરિસરમાં અલગ અલગ કલરના ૭૦થી ૮૦ ફૂટ ઊંચા ૨૫૦ બ્લાસ્ટ કરાશે. ૩૦૦૦ હજાર કિલો કલરને એરપ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાડવામાં આવશે.
આ ઉપરાંત ૧૫૦ થી વધુ રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે. ભક્તો શ્રીજીના રંગે રંગાયા બાદરાસ ગરબાની રમઝટ બોલાવશે. ૫ ડીજે ના સથવારે રંગોત્સવ ઉજવાશે. ફાગણી પુનમ તા. ૧૪મીને શુક્રવારે વડતાલ મંદિરના પવિત્રાનંદસ્વામીના સભામંડપમાં સુરત(રામપુરા) મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી પુરૂષોત્તમ પ્રકાશદાસજી (પી.પી.સ્વામી) ફાગણી કથાનું ભક્તોને રસપાન કરાવશે. સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી યોજાનારા રંગ ઉત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહીને ભક્તોને રંગભીના આર્શીવાદ પાઠવશે.