પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં ૯ વર્ષથી જેલમાં બંધ કુલભૂષણ ઉચ્ચ અદાલતમાં અપીલ નહી કરી શકે
માત્ર કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી
પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ઉપલી અદાલતમાં અપીલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે આ માહિતી આપી હતી.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, ૨૦૧૯માં ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણય પછી જાધવને ફકત કોન્સ્યુલર એકસેસ આપવામાં આવ્યો હતો. સજા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાની કોઇ જોગવાઇ નહોતી.
જાધવ ૨૦૧૬થી પાકિસ્તાની જેલમાં છે. પાકિસ્તાને તેમના પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે.
જાધવ પર પાકિસ્તાનની સૈન્ય કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ૧૦ એપ્રિલ, ૨૦૧૭ના રોજ, સૈન્ય કોર્ટે તેમને જાસૂસી, આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપસર મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે આ નિર્ણયની સખત નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ મામલે પારદર્શિતા જાળવવામાં આવી નથી.
મે ૨૦૧૭માં, ભારતે ઇન્ટરનેશનલ કોર્ટનો સંપર્ક કર્યો અને પાકિસ્તાન પર વિયેના સંમેલનનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. ભારતે દલીલ કરી હતી કે જાધવના મામલામાં નિષ્પક્ષ સુનાવણી કરવામાં આવી ન હતી અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ઇન્ટરનેશનલ કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને અંતિ ચુકાદો ન આવે ત્યાં સુધી તેમની સુરક્ષાનો આદેશ આપ્યો હતો. જુલાઇ ૨૦૧૯માં, ઇન્ટરનેશનલ કોર્ટએ ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો અને પાકિસ્તાનને જાધવની સજા પર પુનર્વિચાર કરવાનો આદેશ આપ્યો. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાને આ અંગે કોઇ નિર્ણય લીધો નથી.
૩ માર્ચ ૨૦૧૬ના રોજ પાકિસ્તાની સેનાએ કહ્યું કે તેણે કુલભૂષણ જાધવની બલુચિસ્તાન પ્રાંતમાંથી ધરપકડ કરી હતી.
પાકિસ્તાને એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં જાધવે કથિત રીતે સ્વીકાર્યુ હતું કે તે ભારતીય ગુપ્તચર એજન્સી રો માટે કામ કરતો હતો અને બલુચિસ્તાન અને કરાચીમાં અશાંતિ ફેલાવવામાં સામેલ હતો. જો કે, ભારતે તેને નકારી કાઢયુ અને કહ્યું કે આ બળજબરીથી લેવામાં આવેલું નિવેદન હતુ.
ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓએ જાધવનું અપહરણ કર્યુ હતું. નિવૃત્તિ પછી જાધવ ઇરાનમાં બિઝનેસ કરી રહ્યા હતા.