બાંગ્લાદેશે હસીના સામે ઈન્ટરપોલ પાસેથી રેડ કોર્નર નોટિસ માંગી
૯ મહિનાથી પૂર્વ પીએમ ભારતમાં રહે છે, બળવા પછી દેશ છોડયો
બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરૂદ્ઘ રેડ કોર્નર નોટિસ જારી કરવા કહ્યું છે. હસીના સિવાય અન્ય ૧૧ લોકો સો પણ આવી જ માંગ કરવામાં આવી છે. શેખ હસીના ગયા વર્ષ ઓગસ્ટમાં તખ્તાપલટ બાદ ભારતમાં જ રહે છે.
બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇ ટ્રિબ્યુનલએ શેખ હસીના, તેના ભૂતપૂર્વ મંત્રીઓ, સલાહકારો અને અધિકારીઓ વિરૂદ્ઘ ધરપકડ વોરંટ જારી કર્યુ હતું. તેમના પર માનવતા વિરૂદ્ઘના ગુના અને નરસંહારનો આરોપ હતો.
ઇન્ટરપોલની રેડ નોટિસ પ્રત્યાર્પણ અથવા કાનૂની કાર્યવાહી પહેલા વ્યકિતને શોધવામાં અને કામચલાઉ રીતે તેની ધરપકડ કરવામાં મદદ કરે છે.
૮ એપ્રિલે સોશિયલ મીડિયા પર બોલતા શેખ હસીનાએ કહ્યું કે પહેલા બાંગ્લાદેશને વિકાસના મોડલ તરીકે જોવામાં આવતું હતું. પરંતુ હવે તે આતંકવાદી દેશ બની ગયો છે. અમારા નેતાઓ અને કાર્યકરોની જે રીતે હત્યા થઇ રહી છે તેનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. અવામી લીગ, પોલીસ, વકીલ, પત્રકાર, કલાકાર દરેકની હત્યા થઇ રહી છે.
હસીનાએ કહ્યું કે હવે આ દેશમાં મીડિયાને પણ કામ કરવા દેવામાં નથી આવી રહ્યું. બળાત્કાર, હત્યા, લૂંટની રિપોર્ટ નોંધાઇ રહી નથી. અને જો તેની રિપોર્ટ કરવામાં આવે તો તેને ટીવી ચેનલ કે અખબારને નિશાન બનાવવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું, અલ્લાહે મને કોઇ હેતુથી જીવતી રાખી છે. હું પાછી આવીશ.તે દિવસ ચોક્કસપણે આવશે. જયારે અવામી લીગના નેતાઓને નિશાન બનાવનારાઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.