પરીક્ષામાં છબરડાં મામલે શિક્ષણ તંત્રના સંલગj કર્મચારી-અધિકારીઓની એકમેકને ખો !
ખંભાતની શાળામાં લેવાયેલ ધો.૬ની ગણિતની પરીક્ષાનું પ્રશ્નપત્ર ૩ દિવસ બાદ અન્ય ૬ શાળાઓમાં બેઠેબેઠું પૂછાયું !
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી દ્વારા ે ‘અમારામાં ન આવે’ ગણીને ગંભીર મામલે જિલ્લા કચેરીએ જાણ જ ન કરાઇ
સમગ્ર મામલે તપાસ માટે ટીપીઓને તાકિદ કરાશે : જિલ્લા વિભાગ
આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, ખંભાતમાં ધો.૬માં ગણિતની પરીક્ષાના બેઠેબેઠાં પ્રશ્નપત્ર મામલે તાલુકા કક્ષાએથી કોઇ જાણ કરવામાં આવી નથી. પરંતુ પરીક્ષાલક્ષી ગંભીરતાને ધ્યાને લઇને સમગ્ર મામલે તપાસ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાકિદ કરવામાં આવશે.
પરીક્ષાનું મેનેજમેન્ટ શિક્ષણાધિકારી કચેરીમાં આવે : બીઆરસી પરીક્ષા અમારામાં ન આવે : શિક્ષણાધિકારી કચેરી
ખંભાત બીઆરસીએ જણાવ્યું હતું કે, ખાનગી ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પરીક્ષા સંકુલ મુજબ યોજાતી હોય છે. જેમાં સંકુલ દ્વારા પરીક્ષાના શિડયુલ કરતા હોય છે. પરીક્ષાનું મેનેજમેન્ટ શિક્ષણાધિકારી કચેરીમાં આવે. બીજી તરફ શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યાનુસાર ખાનગી શાળાઓમાં પરીક્ષાનું મેનેજમેન્ટ અમારા વિભાગમાં ન આવે. આમ, શિક્ષણના જ બે વિભાગો દ્વારા સમગ્ર મામલે એકમેક તરફે અંગૂલિનિર્દેશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઘટનાના મૂળમાં જઇને જવાબદાર કોણ અને શું કાર્યવાહી થઇ શકે તે દિશામાં આગળ વધવાની નૈતિકતા દાખવવામાં ન આવી રહ્યાનું જોવા મળે છે.
ખંભાતમાં આવેલી ખાનગી-ગ્રાન્ટેડ શાળાઓના નિયમોનુસાર બનાવેલા સંકુલ દ્વારા વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં ન્યુ એરા સ્કૂલમાં ૮ એપ્રિલે લેવાયેલ ધો.૬નું ગણિતનું પ્રશ્નપત્ર અન્ય ૬ સ્કૂલોમાં ૧૧ એપ્રિલે બેઠેબેઠું પૂછવામાં આવ્યું હતું. આ મામલો વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓ સુધી પહોંચ્યો હતો. જેથી વાલીઓએ જુદી જુદી શાળાઓમાં લેવાયેલ પરીક્ષાની તારીખ અંગે ચકાસણી કરતા એક શાળામાં અગાઉ લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર ત્યારબાદ અન્ય શાળાઓમાં બેઠેબેઠું પૂછાયાનું જાણવા મળતા કચવાટ ફેલાયો હતો.
સરકારી અને ખાનગી ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ શાળાઓનું મોનેટરીંગ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા થતું હોય છે. જેમાં શિક્ષણાધિકારીની કચેરીએ એજયુકેશન ઇન્સ્પેકટર સહિતના પદાધિકારી અને પ્રા.શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી ફરજ નિભાવતા હોય છે. છતાંયે ખંભાતમાં પ્રશ્નપત્ર મામલે થયેલ ગંભીર છબરડાં અંગે તા.પ્રા.શિક્ષણાધિકારી કે બીઆરસી દ્વારા જિલ્લા કચેરીએ આજે તા. ર૧ એપ્રિલ સુધી જાણ જ કરવામાં આવી નહતી.
ગત ૪ એપ્રિલથી ખાનગી-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા શરુ થઇ હતી. દરમ્યાન રાજય શિક્ષણ વિભાગ દ્વારા ૧ર એપ્રિલે જ્ઞાન સાધનાની પરીક્ષાનું આયોજન કર્યુ હતું. જેથી નિયામક, ગાંધીનગર દ્વારા તમામ શાળાઓને લેખિત જાણ કરવામાં આવી હતી કે, તા. ૧રનું શાળાની પરીક્ષાનું પેપર તા. ૧૯મીએ લેવું.
સાથોસાથ ખાનગી શાળા સંકુલના ગૃપમાં પણ પરીક્ષા બાબતે મેસેજ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ન્યુ એરા સ્કૂલમાં જ્ઞાન સાધના પરીક્ષાનું સેન્ટર ન હોવાથી ધો.૧થી ૮ની અગાઉના કાર્યક્રમ મુજબ પરીક્ષા લેવાઇ હતી. જેમાં ધો.૬નું ગણિતની પરીક્ષા લેવાઇ હતી. જે પરીક્ષા અન્ય ૬ શાળાઓમાં ૩ દિવસ બાદ યોજાઇ હતી. જેથી એક વિસ્તારમાં રહેતા કે ટયુશનમાં જતા વિદ્યાર્થીઓ વચ્ચે કયા વિષયની પરીક્ષા હતી, શું પૂછાયુંની સ્વાભાવિકપણે થતી વાતોમાં આ મામલો ઉજાગર થયો હતો. ભાઇબંધીમાં વિદ્યાર્થીઓએ પ્રશ્ન-પેપરની આપ-લે કરી હતી.
આમ, પરીક્ષાલક્ષી વાર્ષિક કાર્યક્રમમાં એકસૂત્રતા ન જળવાતા જુદી જુદી ખાનગી શાળાઓમાં જુદી જુદી તારીખે અલગ વિષયોની પરીક્ષા લેવાતા પ્રશ્નપત્રો બહાર આવ્યાનો, ફૂટી ગયાનો વાલીઓમાં ઉહાપોહ થયો હતો. આ સ્થિતિના કારણે દિવસ-રાત મહેનત કરીને વર્ગમાં ટોચના સ્થાને આવતા હોશિંયાર વિદ્યાર્થીઓમાં પણ નારાજગી વ્યાપી હતી.