ખાનપુરની કિશોરીનું રીક્ષામાં અપહરણ કરીને છેડતી કરતા એકને બે વર્ષની અને બેને એક-એક વર્ષની સજા
છાશ લેવા જતી કિશોરીનો ચોટલો અને પગ પકડીને રીક્ષામાં બેસાડી દીધી હતી પેટલાદ હાઈવે તરફ રીક્ષા હંકારી મુકીને અબ્દુલકલામે શારીરીક છેડછાડ કરી હતી
બે વર્ષ પહેલા બોરસદ તાલુકાના ખાનપુર ગામે રહેતી એક કિશોરીનું રીક્ષામાં બળજબરીપુર્વક અપહરણ કરીને પેટલાદ હાઈવે તરફ લઈ જઈને તેણીની શારીરીક છેડછાડ કરવાના ગુનામાં આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે એક આરોપીને બે વર્ષની તેમજ અન્ય બેને એક-એક વર્ષની કેદની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ ૩૦-૩-૨૩ના રોજ બપોરના બારેક વાગ્યાના સુમારે એક ૧૬ વર્ષ અને ૬ માસની ઉંમર ધરાવતી કિશોરી છાસ લેવા માટે દુકાને જતી હતી ત્યારે દુધની ડેરી સામે સાહિલમીંયા ઉર્ફે ગામડીયો જહીરભાઈ મલેક (રે. ખાનપુરવાંટામા, મસ્જીદ પાછળ) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે-૨૩, એવી-૦૮૫૫ની લઈને આવી પહોંચ્યો હતો અને કિશોરીની એકદમ નજીક જ ઉભી રાખી હતી. દરમ્યાન રીક્ષાની પાછળ બેઠેલા અબ્દુલકલામ ઉર્ફે અબ્દુલ રીયાજભાઈ મલેક (રે. ખાનપુર વાંટામાં, લીમડીવાળુ ફળિયુ) એકદમ ઉતરીને તેણીનો હાથ તથા ચોટલો પકડી લીઘો હતો જ્યારે જાકીરભાઈ ઉર્ફે છગડીયો અબ્બાસભાઈ મલેકે (રે. ખાનપુર વાંટામાં, ચાંદ ફળિયુ) તેણીના પગ પકડીને બળજરીપુર્વક રીક્ષામાં બેસાડી દીધી હતી. ત્યારબાદ અબ્દુલકલામે તેણીના ગળે છરી મુકી દઈને શારીરીક છેડછાડ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ તેણીને પેટલાદ હાઈવે તરફ લઈ ગયા હતા જ્યાં રસ્તામાં અબ્દુલકલામે જો આ બાબતે કોઈને કહીશ તો તને તથા તારા ભાઈને જાનથી મારી નાંખીશ તેમ જણાવીને રીક્ષામાં છોડી દીધી હતી. અને બન્ને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે સાહિલમીંયા તેણીને
મણીલ-મીતીર્થ માણેજ ખાતે લઈ ગયો હતો અને ત્યાં તેણીને તરછોડી દીધી હતી. આ અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા. તપાસના અંતે પુરતા પુરાવા મળતા અદાલતમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ.
ઉક્ત કેસ આણંદના સ્પેશ્યલ પોક્સો જજની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ફરિયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકિલ એ. એસ. જાડેજાએ દલિલો કરતાં જણાવ્યું હતુ કે, ત્રણેય આરોપીઓએ સગીરાનું બળજબરીપુર્વક અપહરણ કરીને શારીરીક છેડતી કરી છે. જેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા માટે અપીલ કરી હતી. જજ ટી. આર. દેસાઈએ સરકારી વકિલની દલિલોને ગ્રાહ્ય રાખીને આરોપી અબ્દુલકલામ ઉર્ફે અબ્દુલને છેડતીના ગુનામાં તકશીરવાર ઠેરવીને બે વર્ષની તેમજ સાહિલમીંયા અને જાકીરભાઈને અપહેણના ગુનામાં એક-એક વર્ષની કેદની સજા ફટકારી હતી.