પાકિસ્તાનનો સૈફુલ્લા ખાલિદ પહલગામ હૂમલાનો માસ્ટરમાઈન્ડ
પાકિસ્તાન સરકારે કાશ્મીર મુદ્દાને ઠંડો ન પડવા દેવો જોઈએ : સૈફુલ્લા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર થયેલા આતંકીવાદી હૂમલામાં અત્યાર સુધીમાં ૨૭ પ્રવાસીઓ માર્યા ગયા છે અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના એક યુનિટ ધ રેઝિસ્ટન્સફ્રન્ટ (ટીઆરએફ)એ હૂમલાની જવાબદારી સ્વીકારી છે.
ઇન્ટેલિજન્સનો દાવો છે કે ટીઆરએફ આતંકી સૈફુલ્લા ખાલિદ પહલગામ હૂમલાનો માસ્ટરમાઈન્ડ છે. તેઓ સૈફુલ્લાહ કસૂરી તરીકે પણ ઓળખાય છે. સૈફુલ્લાહ લશ્કર-એ-તૈયબાનો નાયબ ચીફ છે. તેને લશ્કરના સંસ્થાપક આતંકવાદી હાફિઝ સઇદની ખૂબ નજીક માનવામાં આવે છે.
સૈફુલ્લાહ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાવલકોટનો રહેવાસી છે. ત્યાંથી તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવતો હતો. તેણે માર્ચમાં ભાષણ આપ્યું હતું. જેનો વીડિયો સામે આવ્યો છે.
આમાં તેણે પાકિસ્તાન સરકારને કાશ્મીર મુદ્દાને ઠંડો ન પડવા દેવા માટે કડક સ્વરમાં બોલી રહ્યો છે. સૈફૂલ્લાહનું આ ભાષણ માર્ચ ૨૦૨૫નું હોવાનું કહેવાય છે. જો કે, તેની તારીખ અને સ્થાન જાણી શકાયું નથી.
પોતાના ભાષણમાં સૈફુલ્લાહે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનના ભારતના નિર્ણય વિરૂદ્ઘ વાત કરી હતી. તેણે પાકિસ્તાન સરકાર અને તત્કાલિન વિદેશ સચિવ શહરયાર ખાનને કહ્યું હતું કે તમે કાશ્મીરી લોકો માટે કંઇ કર્યુ નથી. અમે તેમના માટે બંધુ બલિદાન આપવા તૈયાર છીએ. ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે.
સૈફૂલ્લાએ કહ્યું કે પાકિસ્તાન સરકાર પોતાની લાલચને કારણે કાશ્મીર મુદ્દે નબળી પડી ગઇ છે. ભારત સરકારે ૬ વર્ષ પહેલા કલમ ૩૭૦ હટાવી હતી, પરંતુ તમે (પાકિસ્તાન સરકાર) આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર વિશે વાત કરી ન હતી.આપણું પાકિસ્તાન દુનિયા સામે ઝૂકી ગયું છે. તમે કાશ્મીરને ઠંડુ પાડશો અને તેઓ બલૂચિસ્તાનને ગરમ કરશે.